- “વંઠેલાને ઉંડે કુંપે એ ઉતારે,
- “પુરાણીનાં પોથાં પાણીમાં પલાળે ! જોજો૦
- “મ્હોટા મ્હોટા જોગીને જાળમાં નાંખે,
- “જ્ઞાનીઓની આંખે પાટા તાણી બાંધે ! જોજો૦
- “ઋષિ મુનિ એના થકી ભુરકાયા,
- “કામણ કરે નારી તણી ગંદા કાયા– જોજો૦
- “હડહડતો અા આવ્યો છે કળિકાળ,
- “સતીએ ઉતરી ગઈ પાતાળ ! જોજો૦
- “વ્યભિચારિણી આજ થઈ જોગમાયા,
- “એની દૃષ્ટિએ જે પડ્યા તે ફસાયા ! જોજો૦
- “બ્રાહ્મણભાઈના મંત્ર થયા એનાં તંત્ર,
- “રજપુતનાં શસ્ત્ર બન્યાં એનાં જંત્ર ! જોજો૦
બ્રાહ્મણ આમ ગાતો હતો ત્યાં તેની સામે એક જણ ગયો અને એને ખભે હાથ મુકી કહેવા લાગ્યો–“ અલ્યા, ત્હારા ઘરમાં પણ એવાં જોગમાયા છે કે ? – હોય તો કહેજે – ” આ સાંભળી બ્રાહ્મણને ક્રોધ ચહડ્યો અને યુદ્ધ જાગ્યું. તેનો કોલાહલ અતિશય થયો; “હો હો” કરતા છોકરાઓ એની પાઘડી ઉછાળવા લાગ્યા, એ ટોળામાંથી બ્રાહ્મણને છોડવી, પોતે છુટી, મુળુ એકલો ચાલ્યો અને વિચારમાં ને વિચારમાં બોલવા લાગ્યો–
- "રાણીજાયાપાસે એ પાણી ભરાવે..................
- "રજપુતનાં શસ્ત્ર બન્યાં એનાં જંત્ર !”
“ખરી વાત ! – ના, ના, સ્ત્રીઓમાં હતી તેવી ને તેવી સતીઓ હજી છે, પણ અમે રજપુત જ બગડ્યા.” શાંત પડી મનમાં બોલવા લાગ્યો: “ મ્હારા જેવો મૂર્ખ કોઈ નથી કે ખરો માર્ગ મુકી ખોટે માર્ગે દોરાયો. યુદ્ધ તે સરખે સરખાનું. આ જરાશંકર અને વિદ્યાચતુર તે કોણ? – હું - બીચારા બુમણા પ્રધાન તે રાજાના દાસ. એવા હલકાઓના ઉપર મ્હારા મનમાં વેર થયું ને એવા હલકાઓ સાથે યુદ્ધમાં ઉતર્યો એટલે આવું હલકું યુદ્ધ કરવું પડ્યું.”