સાહેબ શેઠ પાસે બેઠા. શેઠની સર્વ વાર્તા એણે પ્રાતઃકાળે સાંભળી
હતી અને ફરી મળવાનું બપોરે ઠરાવ્યું હતું. ધૂર્તલાલે પોલીસનાં માણસ
ઉપર લખેલી તથા કેાલાબા ઉન્માદારોગ્યભવનના[૧] ડાક્તરપર લખેલી
ચીઠીઓ હરિદાસ પાસેથી વાંચી. શેઠને ગાંડા ઠરાવવાનો તથા પકડવાનો
પ્રપંચ તેમાં સ્પષ્ટ હતો. પ્રથમ રાત્રે ધૂર્તલાલ પાસેથી લીધેલી ત્રણ
હજારની નોટો પણ હરિદાસે શેઠ અને સાહેબના હાથમાં મુકી દીધી અને
રાત્રિનું સર્વ વૃત્તાન્ત કહી દીધું, પ્રામાણિક અને સેવાનિષ્ઠ સેવક ઉપર
ઉભય ગૃહસ્થો પ્રસન્ન થયા. અંતે વિચાર કરી સાહેબે અભિપ્રાય આપ્યો
કે ચીઠીઓ તેમ જ નોટો પોલીસ કમિશનર સાહેબને તરત સોંપી દેવી, તેને
અથઈતિ વાર્તા વિદિત કરવી, અને આખર કામ ચાલે ત્યાં સુધી પુરાવારૂપે
સ્પષ્ટ થાય એવી યોજના પોલીસને જ સોંપવી. શેઠે કરવાનો લેખ
સાહેબે પસંદ કર્યો પણ તે લેખ તરત કરવો કે આ સઉ કામ ચાલી રહ્યા પછી
તે વીશે કોઈ વકીલ બારિસ્ટરનો અભિપ્રાય લેવા ઉપર રાખ્યું. હરિદાસને
આ સર્વ કામમાં ઉપયોગી કરવા મુંબાઈ રાખવાનું ઠરાવ્યું. ચંદ્રકાંતના
સર્વ સમાચાર કહી શેઠને સાહેબે ધૈર્ય આપ્યું અને પુત્રનો શોધ એના
હાથમાં સોંપી દ્રવ્યનું સાહાય્ય આપવા કહ્યું અને તે પ્રમાણે બે ત્રણ હજારની
હુંડીઓ રત્નગરી મોકલી. આ સર્વે ગોઠવણ કરી સાહેબ ઘેર ગયા.
શેઠ અને હરિદાસ પોલીસમાં ગયા.
પોલીસ કમિશનર બહુ સુજ્ઞ અને અભિજાત અધિકારી હતો. શેઠની ફરીયાદી અને હરિદાસની જુબાની તેમ બીજાં પોતાનાં માણસોની જુબાનીઓ એ સાહેબે તરત લેવડાવી. પોતાના એક વિશ્વાસુ ચીફ કન્સ્ટેબલને વધારે તપાસ કરવાનું સોંપી શું શું પરિણામ થાય છે તેનું ઘડી ઘડી પોતાને નિવેદન કરવાની આજ્ઞા કરી. લતીફખાન અને ધુરકેરાવ પોતાના ઉપર લખેલી ચીઠી લઈ તુરંગમાં ધૂર્તલાલને મળ્યા અને ચીઠી મોડી મળી તેથી કંઈ બની શક્યું નહી અને ચીઠી પુરી સમજાઈ નહીં એમ બતાવી ખેદ દેખાડ્યો. ચીઠી સમજાવાને ધૂર્તલાલને વિજ્ઞપ્તિ કરવાથી એણે વાંચી સમજાવી અને એ નિમિત્તે એ ચીઠી એણે પોતે લખી છે એવું નક્કી કર્યું. ધૂર્તલાલે હરિદાસને આપેલી નોટોના નંબર વગેરે વીગતની નોંધ શેઠના તેમ ધૂર્તલાલના ચોપડામાં હતી. કારણ એ નોટ પ્રથમ શેઠને ત્યાં અને પછી ધૂર્તલાલને ત્યાં એમ એને ત્યાં ગઈ હતી અને તેથી બેને ત્યાં તેના દાખલા હતા.આ પ્રમાણે પોલીસનું શોધન તડામાર ચાલવા માંડ્યું, સર્વ વાર્તા
- ↑ ૧ગાંડા માણસની ઔષધશાળા.