પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯


“અહા ! ચંદ્રકાંત ! ચંદ્રકાંત ! શું ત્હારે શિર આવાં દુ:ખ છે ને મને તેનું સ્વન્ન પણ હં આવવા દીધું નથી? પ્રિય કુમુદનું દુઃખ તો મ્હેં દીઠું, પણ પ્રિય મિત્રનું તો માત્ર વાંચ્યું જ. મિત્ર જો ત્હેં મ્હારી સાથે ભેદભાવ રાખ્યો ! સરસ્વતીચંદ્ર ! ત્હારા ઉપર તો હજી સુધી કાંઈજ દુ:ખ નથી પડ્યું. તુંજ્યાં ગયો ત્યાં અન્નપૂર્ણાની કૃપા જોઈ અને જાતની ચિંતા તો કરી જ નથી, પણ અા તો નવું દર્શન ! ”

એ ઉભો થયો, મિત્રના પત્રો છાતી સરસા ચાંપવા લાગ્યો, અને નેત્રમાં અશ્રુધારા ચાલી રહી. એક પત્થર ઉપર બેઠો અને એક પત્ર વાંચવા લાગ્યો.

“પ્રિય ચંદ્રકાંત,

“તમે સરસ્વતીચંદ્રને શોધવા ગયા છો, પણ ગંગાભાભી શીવાય તમારા ઘરમાં કોઈને આ વાત ગમતી નથી. મુંબાઈનું ખરચ અને પ્રમાણિકપણાની કમાઈએ બે વાનાં વચ્ચે સાપ અને ઉંદરને સંબંધ છે. તમારાં માતુશ્રી બડબડે છે અને પુછે છે કે સરસ્વતીચંદ્ર તમને શું દુધ દોહી આપવાના હતા કે જેવી તેવી પણ આ કમાઈ છોડી એની પાછળ પ્રવાસનું વિશેષ ખર્ચ કરો છે ? તમારું નિત્યનું ખરચ તમારી સાધારણ કમાઈને ખાઈ જાય છે, તેમાં તમે આ નવું ખરચ આરંભ્યું અને તમારી ગેરહાજરીમાં કમાઈ બંધ છે એટલે ઘરમાં સઉને, ખરચ એાછું કરવાનો વારો આવ્યો છે અને તેનું કારણભૂત થયેલા સરસ્વતીચંદ્ર તેમની ગાળો ખાય છે."

“ખરું પુછો તો મને તમારી વર્તણુકમાં કંઈક વિરોધ લાગે છે. ગમે તો ઘરમાં સઉને વશ રાખી સઉને સ્વેચ્છા પ્રમાણે ખરચ કરતાં અટકાવો. તેમ કરવામાં કુટુંબક્લેશનું ભય છે, પણ બે પઈસા ઉગરે ત્યારે એવો ક્લેશ કરનાર બડબડે તે ગમે તો સ્વસ્થ થઈ સાંભળી ર્‌હો અને ગમે તો એક વાર એવી ગર્જના કરો કે સઉ કલહનાદ શાંત થઈ જાય. એક વાર ભુંડા ક્‌હેવાશો પણ જન્મારાનું સુખ થશે. બાકી ખરચ કરવાની ટેવ પાડી એ ટેવ ઘડી ઘડી બંધ કરવાની આશા રાખો તે મિથ્યા છે, એ ટેવને લીધે તમારે નામે દેવું કરવાનું એમને જ્યાં સુધી સુઝ્યું નથી ત્યાં સુધી ઈશ્વરની તમારા ઉપર કૃપા છે."

“બીજો માર્ગ એ છે કે સરસ્વતીચંદ્ર મુંબાઈ છોડતી વેળા તમને જે મ્હોટી રકમ આપી છે તે તેની ગણી તમારે માટે ન વાપરવાના સદ્ગુણનું મિથ્યાભિમાન છોડી દો તો સઉને સુખ થશે, જાતે એમ કરતાં મન