પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫


આ પત્રને અંતે પાછા ચંદ્રકાંતના અક્ષર હતા. “Hobbes જેવા તત્વશોધકો અને બીજા નૈયાયિકો વ્યાપ્તિઓ બાંધે છે તે પોતાના અનુભવ અને જ્ઞાનમાં પરસ્પરવિરોધ જાણી જોઈને નથી રાખતા. પણ કવિઓના સંસાર અનુભવની વ્યાપ્તિઓ એક જાતની બંધાય અને તેમનો રસાત્મા જુદી જાતનો થાય તે તમે પ્રત્યક્ષ કરાવ્યું, વૈરાગ્ય અને રસના પરસ્પરવિરુદ્ધ પ્રવાહમાં તરનાર સરસ્વતીચંદ્ર પણ તમારા જેવા જ કવિ છે અને તમે બે કવિજનોને સમભાવ થાય તે મ્હારા જેવા કવિત્વશુન્ય પ્રાણીએ જોવા જેવો ખેલ છે. કૃષ્ણઅવતારનું રહસ્ય પણ કંઈક આવાજ વિરોધાભાસથી ભરેલું છે એમ તમે સમજાવેલું તેનું અત્યારે સ્મરણ થાય છે."

“ મ્હારા ઘરની અવ્યવસ્થા દર્શાવી તે ખરી છે, એ અવ્યવસ્થામાં જેવાં સર્વ કુટુમ્બીઓ કારણભૂત છે તેવીજ રીતે હું ને તમારાં ભાભી પણ કારણભૂત છીયે. છતાં મ્હારે તમારાં ભાભી ઉપર પક્ષપાત રાખવાની કર્તવ્યતા દર્શાવી એ પણ કવિત્વનો જ વિરોધાભાસિત ચમત્કાર છે.”

“કવિરાજ ! ઇંગ્રજોની રીતને અનુવર્તી આપણે ગૃહિણીઓ ઉપર પક્ષપાત કરવાનો કાળ આવવાની વાર છે. જ્યાં સુધી આપણે ઘરમાંથી માતાપિતાદિક મંડળને ક્‌હાડી મુકવા ઠરાવ કર્યો નથી ત્યાં સુધી પક્ષપાતના કરતાં પક્ષોત્પાત વધારે ઉચિત છે. તે એવી રીતે કે બે પક્ષ – બે પાંખો – ઉંચી કરવી, એક પાંખઉપર માતાપિતાદિ ભારને વ્હેવો અને બીજી ઉપર સ્ત્રીપુત્રાદિને લેવાં, તે બેનું પરસ્પરસંઘટ્ટન થાય નહી અને પરસ્પરવિનાશ થાય નહી માટે તે બેના મધ્યભાગમાં આપણે શરીર–પિણ્ડ રાખવો અને પછી એ વડે ઉડવું – એને હું પક્ષોત્પાત ગણું છું. એ પાંખો ઉપરના ભાર નીરસ હો; પરંતુ એ ભારનું વહન અને એ પક્ષોત્પાત – એ ઉભયમાં મ્હારે મન રસ છે; પણ મને આપની પેઠે તે રસની કવિતા કરતાં આવડતી નથી. જો તે કવિતા મને આવડતી હત તે સરસ્વતીચંદ્રને ન્હાસી જવા દેત નહી.”

“હું કુટુંબમાં સર્વ જનને સ્વતંત્રતા આપું છું, મ્હારે દેહ ન હોય તો મ્હારા ડુબાણ વિના અને મ્હારા પક્ષપાત વિના સર્વને જેવી રીતે પોતાના બળથી અને કળાથી પરસ્પર સ્વાર્થના સંઘટ્ટન વચ્ચે ર્‌હેવું પડે તેવી રીતે આજથી ર્‌હેવાનો અભ્યાસ તેમને હું પાડું છું. એ અભ્યાસ હાલ ક્લેશકર છે, પણ અંતે સર્વ પરસ્પરનું રક્ષણ અને પોષણ કરવાનું શીખશે અને સર્વ સુખી થશે એવી હું આશા રાખું છું. જો હું એ સ્વાતંત્ર્ય