પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮

પ્રકાર છે. ચંદ્રકાંત ! ત્હારા ઘરના દામ્પત્યનો દયામાં સમાસ કરી દેતો તને જોઉં છું ત્યાં મૈત્રીમૂલક દામ્પત્યને વિષયે ત્હારું હૃદય નિરાશ થતું જોઉં છું. ચંદ્રકાંત ! તરંગશકર ! તમારા સંસારનાં ચિત્ર ઘેરે ઘેર હોય તો દેશની અધોગતિ થતી સમજવી, અને તમારા ઉચ્ચગ્રાહ માત્ર એ અધોગતિમાંથી સકુટુમ્બ પોતાની જાતને ઉદ્ધારવાના પ્રયત્ન છે. આર્ય વિદ્વાનો આ ઉદ્ધારને માટે આ પીડા ભોગવે છે તે વધારે ફલદ કે લોકસામે સુધારાનાં યુદ્ધ થાય છે તે વધારે ફલદ ? જ્યારે સુધારાનાં વાદિત્ર સમાજોમાં ગાજે છે અને થોડાંક પરાક્રમાધિક મનુષ્યોને આશ્રય આપી સુધારાની સિદ્ધિ તેટલાનેજ થતાં તેમને વિજયમાળા પ્હેરાવી અને સમાજશાખાઓ સ્થાપી શાંત થાય છે, ત્યારે આ કુટુમ્બોદ્ધારક વિદ્વાનો વગરવાદિત્રે પોતાનાં આખાં કુટુમ્બને માત્ર આત્મબળે ઉંચકવાના અપ્રસિદ્ધ પણ વિકટ પ્રયત્નનો ક્લેશ પામે છે. ખરી વાત છે કે હજી સુધી ગંગાભાભી સમાજમાં જવા યોગ્ય નથી થયાં અને સુધારાના અગ્રેસર ઉદ્ધતલાલનાં શ્રીમતી પેઠે પુસ્તક પણ રચતાં નથી અથવા ઈંગ્રેજી ઉદ્ગાર કરી શકતાં નથી; પણ જ્યારે ઉદ્ધતલાલ માત્ર શ્રીમતીનો અને તેમની પુત્રીઓનો જ ઉદ્ધાર કરી શકે છે અને તેમને સો ફૂટ ઉન્નતિ આપે છે ત્યારે તરંગશંકર અને ચંદ્રકાંતનાં આખાં કુટુમ્બ ને કુટુમ્બ દશ દશ ફૂટ ચ્હેડેછે અને તેમનું અનુકરણ કરી આશપાસની વસ્તીમાં કેટલું થતું હશે ? આ બેમાં ગમે તે ફળ વધારે હો પણ ચંદ્રકાંતનો શ્રમ પરોપકારી છે અને જેવો એ પરોપકાર ગુપ્ત છે તેવોજ એ સ્વાર્થપરિત્યાગને ભરેલો છે. શ્રીમતીની વિદ્યાના ઉપભેાગમાં ઉદ્ધતલાલનો પોતાનો જ સ્વાર્થ સરે છે ત્યારે ચંદ્રકાંત અને તરંગાશંકરનાં હૃદય દામ્પત્યમૈત્રીની પ્રાપ્તિમાં નિરાશા છે. અશિક્ષિત સ્ત્રીપુરૂષોને આ મૈત્રી સ્વતઃ મળે છે. બુદ્ધિધન અને સૌભાગ્યદેવીને અશિક્ષિત મૈત્રી જ છે, પણ શિક્ષિત પુરુષોને અશિક્ષિત સ્ત્રીઓ સાથે એ મૈત્રી અસંભાવ્ય છે. ત્યાં તો માત્ર ચંદ્રકાંતના જેવી વત્સલતા જ છે. આખા કુટુમ્બને લાભ આપવામાટે ચંદ્રકાંતે ગંગાને આપવામાં ન્યૂનતા રાખી છે અને પોતે દામ્પત્યમૈત્રીથી હીન રહ્યો છે.”

“एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थ परित्यज्य ये ॥

“ચંદ્રકાંત! આ સ્વાર્થપરિત્યાગ ત્હેં કર્યો છે! આ સત્પુરુષત્વ ત્હારું છે ! પણ શું એ ઉત્તમ વસ્તુના ત્યાગ વિના એવી જ રીતે કુટુંબને ફલ