પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨


“તમે ઈચ્છો છો અને હું ઇચ્છું છું એ ઉભય વસ્તુઓ એકત્ર આણવાના માર્ગ છે. કુટુમ્બમેળાના અનર્થ તમે જાણો છો તેમ પ્રાચીન કાળમાં પણ વિદિત હતો. પુત્રાદિક ઉપર અન્નવસ્ત્ર માટે આધાર રાખી વડીલો વાનપ્રસ્થ દશા સ્વીકારતા તે આ જ અનર્થમાંથી બચવા અને બચાવવા માટે. ધૃતરાષ્ટ્રનું વાનપ્રસ્થ એવીજ રીતે લેવાયલું હતું. આ કાળમાં આ અનર્થ એક રીતે વધ્યા છે તો બીજી રીતે તેનો ઉપાય પણ સાથે જ જન્મ્યો છે. ઇંગ્રેજી વિદ્યાના પ્રસંગથી તેમ ઇંગ્રેજી સ્વતંત્રતાના કાળબળથી જુવાનીયા વાજુ એક જાતના રાગ ક્‌હાડે છે અને વડીલ હજી જુના જ રાગ ક્‌હાડે છે. આ બે રાગના વિસંવાદ વર્તમાન કુટુમ્બક્‌લેશોનું કારણ છે. કાળક્રમે એ કારણ નષ્ટ થશે, કારણ કે જુના રાગ ક્‌હાડનાર કાળવશ થશે અને નવાઓ વૃદ્ધ થશે તે પોતાના ભૂતઅનુભવ સંભારી પોતાનાં બાળકોથી જુદા રાગ નહી ક્‌હાડે. તેવો પ્રસંગ આવે ત્યાં સુધીનાં સાંપ્રત કાળમાં થતા કુટુંબક્‌લેશ અને જ્ઞાતિબંધ પણ અનિવાર્ય છે તો અનિત્ય પણ છે. એ ક્‌લેશઆદિથી ખિન્ન થનારને આ અનિત્યતાનું સ્મરણ આપી ક્‌હેવું કે धीरस्तत्र न मुह्याति. બાકી આ કાળમાં નોકરી અને બીજા ઉદ્યોગને અર્થે પુત્રો અને ભાઈઓ વડીલોને દેશમાં મુકી પરદેશના વાસી થાય છે તેનું ફલ પણ પ્રાચીન વાનપ્રસ્થ,જેવું જ થાય છે. માત્ર વાનપ્રસ્થમાં વડીલો વનમાં જતા અને પુત્રો ઘેર ર્‌હેતા અને વનમાં પ્રસંગે જઈ વડીલોને અન્ન વસ્ત્ર પ્હોંચાડતા, તેને સટે આજ વડીલો ઘેર ર્‌હે છે અને પુત્રાદિક પરદેશ જાય છે, અને અન્નવસ્ત્રાદિકના માર્ગ પણ નીકળે છે. વડીલો અને જુવાનીયાઓ એક જ ગામમાં ર્‌હે છે ત્યાં તમે વર્ણવેલી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે તમે જે માર્ગ ક્‌હાડ્યો એવા માર્ગ નીકળે છે અથવા તે ઘરમાં મ્હારા અને તરંગશંકરના જેવા માર્ગ ક્‌હાડનાર હોય તો તેવા નીકળે છે. આપણા જેવા માર્ગ ક્‌હાડનારાની ખોટ નથી. માત્ર સરસ્વતીચંદ્રે આ અપૂર્વ માર્ગ ક્‌હાડ્યો, અને ન આવ્યા તમારી નાતમાં ને ન આવ્યા મ્હારી ન્યાતમાં !”

"પ્રિય ઉદ્ધતલાલ ! Subject to all these things that I have said here, I plead unreservedly and fully guilty to the charge you have framed so pointedly against me ! I could have raised my Ganga and my children to the position which was due to them from an EDUCATED paterfamilias.