આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
- ધનવાન સઉનાં માપ માપતી લક્ષ્મી નાચ નચવી આ,
- ગુણવધૂ ગણિકા દઈ તાળી, નાચતી પછી ન્હાસતી પળમાં !
"પણ–પણ–આ મ્હારા દ્રવ્યવાન્ ભાઈઓ નિરક્ષર છે, મૂર્ખ છે, તેમનો દોષ શો ક્હાડવો ? શું એવા કોઈ વિદ્વાનો નથી કે જેમની પાસે પરોપકારયોગ્ય દ્રવ્ય પણ છે ? જો એવા ધનવાન્ વિદ્વાનો છે, તો નિરક્ષર ધનવાનોનો દોષ ક્હાડવો તે અયોગ્ય છે."
- શો ક્હાડું મૂર્ખનો દોષ ?
- શીદ શોધું મૌર્ખ્યના કોષ ?
- મુજ ભણ્યા ગણ્યા વિદ્ધાન ઘણા ધનવાન, તેય છે કેવા ?
- ધન મળતાં, જડતા નવી ધરી, ભણયું ભુલ્યા હોય બધું તેવા !
- અથવા, હું જ સાક્ષર છતે મૂર્ખ છું !
- શો ક્હાડું અન્યનો દોષ ?
- શીદ ભરું પરનિન્દાકોષ ?
- મુજ છે જ લક્ષ્મી આસન્ન,
- છે સરસ્વતી સુપ્રસન્ન,
- નથી ત્હોય કર્યો વિચાર
- હજી સુધી તો મનની માંહ્ય !
- જગ જોવા ગૃહ ત્યજી આવ્યો,
- પ્રિય સુહૃદ ન પણ પરખાયો !
- મુજ દૃષ્ટિ આગળ ચાલે-
- ન નિકટ–નહીં અંતર્–ભાળે !
- પ્રિયમિત્રમર્મને જોયું, હૃદય મુજ રોયું, સ્વપ્ન ધરી, જાગ્યો !
- પ્રિય મિત્ર ! તુજ સંતાપ સમજજે હવે ઘડીમાં ભાગ્યો !
વળી વિચાર કરવા લાગ્યો.
એક ચંદ્રકાંતના સંસારમાં અનેક ચંદ્રકાંતના સંસાર જોઉં છું. જેવું એકનું દુ:ખ તેવાં દુ:ખ અનેકને ! વિધા એ લક્ષ્મી નથી; એટલું જ નહી, પણ સરસ્વતી અને લક્ષ્મીનો વિરોધ જુનો ગણાય છે તે મ્હેં આજ પ્રત્યક્ષ કર્યો. ચંદ્રકાંતની શાંત બુદ્ધિ કુટુમ્બયજ્ઞમાં ગંગાને હોમે છે ! ઉદ્ધતલાલનો બુદ્ધિકોપ શ્રીમતીને આત્મવત્ કરવાના ઉત્સાહથી કરોળીયાના જેવી કુટુમ્બજાળને તોડી નાંખી તે જાળના સ્થાનને ઝાપટી