“તરંગશંકર, પ્રીતિને માયારૂપ અસત્ય ગણવાનું તમે શીખવ્યું તે
પ્રમાણે કુમુદની પ્રીતિનું સ્વપ્ન ક્હાડી નાંખું તો હું આ મ્હારા સાંપ્રત
વેશને યોગ્ય કાર્ય કરું – એની ના નહી. પણ બુદ્ધને સ્વપ્રિયાએ ક્ષમા અર્પી
તે પ્રમાણે હું કુમુદસુંદરીની ક્ષમા મેળવું ત્યાં સુધી બુદ્ધના શાંત
સંન્યાસનું શમસુખ લેવાનો મને અધિકાર નથી ! બુદ્ધના ત્યાગથી એની રાણી
પરહસ્તગત થઈ ન્હોતી. કુમુદ, તું પ્રમાદને હાથ ગઈ અને અસહ્ય દુ:ખ
પામી – તેનું કારણ હું ! લોકદૃષ્ટિએ વિવાહવિધિ થયો નથી ગણી હૃદયે
સ્વીકારેલો વિવાહ તોડવાનું પાપ કરનાર તે હું છું !”
“પ્રિય ચંદ્રકાંત ! પ્રથમ હું મ્હારી પ્રતિજ્ઞા પાળીશ અને કુમુદનું ઉદાર ચિત્ત મને શુદ્ધ ક્ષમા અર્પે ત્યાં સુધી હું નિરાધાર અને નિરાકાર – અલખ - રહી આ વેશે ભટકીશ અને મ્હારા હૃદયમાં પ્રીતિના અંગારને અહોનિશ બળવા અને બાળવા દેઈશ !"
- “અહો ઓ જીવ મ્હારા રે !
- “દઈ આ દંશ દારાને,
- “ઘટે ના ભેાગ-સંસાર,
- “ઘટે ના શાન્ત સંન્યાસ ! ! ! ”
ક્રોધથી પાસેના પત્થર ઉપર મુક્કી મારી અને પગ પૃથ્વી ઉપર અફાળ્યો.
- “શરીરે ભસ્મથી છાયો,
- “ઉરે અત્યન્ત સંતાપ્યો,
- “ઉંડે જ્વાળામુખી જેવો,
- “હવે સંન્યાસ આ તેવો !”
કપાળે, ઓઠે, અને આંખોમાં ઉગ્ર, તીવ્ર ને દૃઢ નિશ્ચય પ્રકટ્યો.
- “સ્ફુરે પોતે, ન દેખાય,
- “કુમુદની ગન્ધ ગ્રહી વાય,
- “અરણ્યે એકલો વાયુ !
- “જીવન એ ભાવિ છે મ્હારું !”
હાથ આકાશમાં વીંઝ્યો અને મુખ ઉપર આત્મપ્રીતિ અને તૃપ્તિ જ્વલિત થઈ.
“ચંદ્રકાન્ત ! ચંદ્રકાંત ! ક્ષમા કરજે ! કુમુદની ક્ષમા મળતા સુધી આ પ્રીતિના તપથી તપેામય સંન્યાસ છે, ક્ષમા મળવા પછી શાંત