પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુરુષરૂપ નારાયણ પાસે વાત કરતાં મનનો પડદો ઉઘડે નહી અને મરજાદ છુટે નહી માટે આપણી દૃષ્ટિએ ઈશ્વર ઈશ્વરી થઈ દેખાય છે, બ્રહ્માજી વિધાત્રી થાય છે, વિષ્ણુ લક્ષ્મીજી થાય છે, શિવજીનાં ઉમાજી થાય છે, અને એ સર્વે પુરુષરૂપોનો આત્મા એક નારાયણ છે તેમ નારાયણ અને એ સર્વ દેવદેવીઓનો આત્મા નારાયણી શક્તિ છે, મ્‍હેં અને ત્‍હેં સ્ત્રીનો અવતાર ધર્યો ત્યાંથી જ એ શક્તિને ખોળે છીએ. માટે માજીના મંદિરમાં પુરુષની વાત કરવી નહી – જો એ છોકરીને લેઈ સઉ પાણી ઉપર તરતાં તરતાં આણી પાસે આવે. માતાજીના મંદિર પાસે એની દીકરીઓ મુવેલી જીવતી થાય છે – આ છોકરી પણ જીવશે.”

"ખરી વાત– સ્ત્રીનો વૈરાગ્ય સર્વ સંસાર અને સંસારના દેવોને સ્ત્રીમય દેખે છે.” બીજી બાઈ બોલી.

“હા – આ તરતાં તરતાં સઉ આવ્યાં ” બાવી બોલી. તરતાં તરતાં છાછર પાણી આવતાં તરનારી સ્ત્રીઓ પાણી વચ્ચે ઉભી થઈ પગે ચાલી આવવા લાગી. તેમાંની બે જણીઓએ હાથ ઉપર શબતુલ્ય કુમુદસુંદરીને ચતી રાખી ઝાલી હતી. સમુદ્ર વચ્ચે ડોકીયાં કરી ઉભેલા ખડકોના શિખરોનાં વચાળાંમાંથી વચલે ભાગે ઉગેલી સુંદર નાજુક લીલોતરી દેખાઈ આવે તેમ આ સ્ત્રીયોની વચ્ચે તેમના હાથ ઉપર રહેલી કુમુદસુંદરી દેખાતી હતી. એને ઉચકનારી સ્ત્રીયોના પગ આગળ નીતરેલું છાછર પાણી પોતાની નીચેનાં પૃથ્વીતળને બાઝી રહેલું લાગતું હતું, તેના ઉપર ધીમાં સ્થિર લાગતાં મેાજા એ પૃથ્વીને ચાંપી દેતાં લાગતાં હતાં, અને એ પૃથ્વીની કોમળ રેતી અને ઉંચાનીચા ભાગો પાણીમાંથી દીસી આવતા હતાઃ તેમજ પૃથ્વી પેઠે પડી રહેલી કુમુદના શરીર ઉપર પાણીથી લદબદતું વસ્ત્ર બાઝી ગયું હતું, એ વસ્ત્રની ભીની કરચલીઓ એના શરીર ઉપર ચંપાઈ ગઈ હતી, અને સૂક્ષ્મતાએ અને પાણીએ પારદર્શક કરેલા અને બાઝી ગયેલા વીલાયતી ગવનમાંથી શરીરના ઉંચાનીચા ભાગ સ્પષ્ટ દેખાઈ આવતા હતા, માતાના મંદિર પાસે આવતી પુત્રીની શરીર - અવસ્થાને પુરુષદષ્ટિએ નિર્મેલી મર્યાદાઓ અપવિત્ર લાગતી હોય તેમ આ બાળકીની આ અવસ્થા નિર્ભયપણે ઉદય પામી લાગતી હતી. એના વસ્ત્રમાંથી ચારેપાસથી નીગળતું પાણી ચારે પાસનાં પાણીમાં પડતું હતું અને એના મનનાં દુઃખ અને વિકાર તેમ એના કર્માવિપાક માતાના પ્રતાપથી ઓગળી જઈ જાતે જ એને છોડી