પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬


કુ૦ –પછી ?

સુ૦– શું – પછી - પછી - કર્યા કરે છે ? મ્હેં આટલું કહ્યું તેનો કંઈક ઉત્તર તો દે? અમે કુતરાં તે ભસ ભસ કરીયે ને મોંઘીબા મ્હારાં બોલ ન બોલે.

કુ૦- કાકી, ક્રોધે ન ભરાશો, તમે અનુભવની વાતો કહી. તેનો હું ધીમે ધીમે વિચાર કરીશ ને કંઈ માર્ગ ક્‌હાડીશ.

સુ૦- શાના માર્ગ ક્‌હાડવાની હતી જે ? ભાઈબાપા કર્યે નહી માને તો હાથ પગ બાંધીને મનાવવું પડશે.

કુ૦– તે હાથપગ બાંધજો ને માથું યે મરડી નાંખજો. એમાં કાંઈ લેવા જવું છે ? બાકી વિચાર કરવા જેવું હોય ત્યારે તરત ઉત્તર ન યે દેવાય.

સુ૦– ન દઈશ, બાપુ, ન દઈશ. હું જાણું જ છું તો કે કુમુદ રાંક હતી તેણે મરીને ત્હારી માને દુ:ખ દીધું અને તું કુમારી રહીને દેવાની છે, જુવાનીમાં જેને સાસુ નણંદે જંપી બેસવા ન દીધાં તેને આજ દીકરીયો શી રીતે જંપવા દે ?

કુ૦– તે, કાકી, એ વાત નહી થાય. ગુણીયલનું કહ્યું કરવાની મ્હેં ના કહી નથી, મ્હારા વિચાર વાળવાની વાત હતી – તે વિચાર તમારાથી વળે તો વાળો. મ્હારા વિચાર વાળ્યા વગર મ્હારી મરજી ઉપરાંત કંઈ કરવું હશે ને કરશો તો હું એટલી શ્રદ્ધા રાખીશ કે મ્હારાં છત્રરૂપ છો ને અનુભવી છો તે જે કરશો તે સારું જ હશે. બાકી મ્હારા વિચાર તો જે હોય તે. તે ઉપર મ્હારું જોર નહી.

આટલું બોલે છે ત્યાં આશપાસ કોઈના પગનો ઘસાતો થયો. તેની

સાથે આ વાતો બંધ પડી અને બે જણ ઘસારાની દિશામાં જવા ઉઠ્યાં.



પ્રકરણ ૮.
ફ્‌લોરા અને કુસુમ.'

રાજકીય નીતિ જ્યાં જ્યાં ઉદાર, દીર્ધદષ્ટિવાળી, અને કાર્યગ્રાહી થઈ છે ત્યાં ત્યાં ભિન્ન રાજયોના રાજપુરુષોના પરસ્પર સંબંધ ગાઢ થયા છે. બે રાજ્યના રાજાઓ મિત્ર હોય તો પરસ્પરના લાભનું આસ્વાદન કરવા માટે, અને શત્રુ હોય તો પરસ્પરનાં છિદ્રસ્થાન અને મર્મસ્થાન સુધી ક્‌હાડવાને માટે એ રાજાઓ દૂર હોવા છતાં સમીપ જવાના ચિત્રમાર્ગ શોધે છે અને રચે છે. અકબર મહારાજના કાળમાં રજપુતોને મિત્રે કરવામાં આવ્યા હતા અને રજપુતાણીઓને બાદશાહી