પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નીચેના મહાસાગરમાં સરી પડતા હોય એમ એ પાણીની ધારાઓ એના શરીરપાસેથી સરી, નીચે ટપકી જતી હતી. આ મનુષ્યદેહનું અાયુષ્ય ખુટી રહ્યા પછી અને પરમાત્મરૂપ જગદમ્બાના પારલૌકિક સાનિધ્ય પામતા પ્‍હેલાં વચગાળે શરીરને શબરૂપ થઈ શબવાહની[૧] ઉપર ચ્‍હડવું પડે તેમ અત્યારે કુમુદસુંદરી સ્ત્રીઓના હાથ ઉપર ચ્‍હડેલી હતી, અને આ સુંદર ચિત્તપવિત્ર ધામ ભણી અદૃશ્ય ઈશ્વરની ઈચ્છા એને ગુપ્ત આકર્ષક કિરણો વડે ખેંચી લેતી હતી. દુષ્યંતને ત્યાં અનભિજ્ઞાન અને તિરસ્કાર પામેલી શકુંતલા પતિમંદિરની બ્‍હાર નીકળી કે દયા-વત્સલ માતૃજ્યોતિ એને આ પૃથ્વી ઉપરથી અદ્ધર ઉપાડી ગયેલું મહાકવિએ ગૂઢ મર્મ રાખી વર્ણવેલું છે તેમ એવા જ ગહન દુઃખને વશે નિર્વાસન [૨] પામેલી આ રંક અનાથ પુત્રીને ઉપાડી શરણવત્સલ નિરંજન માતૃજ્યોતિ જ માતૃગૃહમાં [૩]આજ તાણી લેતું હતું અને વિધાતાની ગતિ ન સમજતાં મન્દબુદ્ધિના સુવર્ણપુરમાં ચારે પાસથી પવનની ફૂંક ઉપર ચ્‍હડી આકાશવાણી ઘણાક કાનમાં ક્‌હેતી હતી કે

[૪]*सा निन्दन्ती स्वानि भाग्यानि बाला
बाहूत्क्षेपं क्रन्दितुं च प्रवॄत्ता ।
स्त्रीसंस्थानं चाप्सरस्तीर्थमारा-
दुत्क्षिप्यैनां ज्योतिरेकं जगाम ॥

  1. ૧. ઠાઠડી.
  2. ૨. દેશવટો.
  3. ૩. માતૃગૃહ= મહીયર.
  4. *“એ બાળા પોતાનાં ભાગ્યને નિંદતી હાથ ઉંચા કરી, રોવા લાગી એટલામાં અપ્‌સરા-તીર્થ પાસેથી સ્ત્રીવેશ ધરનારું એક જ્યોતિ એને ઉપાડી લઈ જતુ રહ્યું:” -શાકુંતલ.


પ્રકરણ ૨.
સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.
विगतमानमदा मुदिताशयाः
शरदुपोढशशाङ्कसमत्विषः ।
प्रकॄतसंव्यवहारविहारिणस्
त्विह सुखं विहरन्ति महाधियः ॥

(જેના માન અને મદ જતાં રહ્યાં છે; જેના આશયનું લોક મોદન કરે છે, શરદના પૂર્ણ ચંદ્રના જેવી જેની મનઃકાન્તિ છે, અને પ્રકૃતિથી પ્રવાહ- પતિત થઈ આવેલા શુભ વ્યવહારમાં જેઓ વિહાર કરે છે, એવા મહાબુધ્ધિવાળાઓ તો આ લોકમાં સુખે વિહરે છે –યાગવાસિષ્ઠ. )