પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
ધર્મ તણા રણમાં ગભરાય ન એ થકી ધર્મ-યુધિષ્ઠિર એક !
ધર્મથી જન્મ, સ્વદેહથી સ્વર્ગ, ધરે નિજધર્મથી મ૯લ સ્વટેક !"

પદ્ય પુરું થતાં મણિરાજે ધર્મમૂર્તિને નમસ્કાર કર્યા, અને ધર્મભવન તથા ભીમભવન વચ્ચે આવવાજવાનું દ્વાર હતું તે ભણી સર્વ વળ્યા.

વિધા૦- “પાંચે પાંડવભવનો વચ્ચે આવાં દ્વાર છે અને કુલજયેષ્ઠ ધર્મરાજા ચાર ન્હાના ભાઈઓને પુછ્યા વિના ધર્મનિર્ણય કરે નહી અને ચાર ભાઈઓ મ્હોટા ભાઈની આજ્ઞા વિના ડગલું ભરે નહી એવું પાંચે ભાઈઓનું ઐકય ક્યારે જળવાય કે પરસ્પર દર્શનને માટે અને પૃચ્છા માટે સર્વને એક બીજાનાં ભવનમાં આવવા જવા આવાં દ્વાર હોય ત્યારે તે જ પદ્ધતિથી સર્વે ભવનનાં વિચારણાસન ઉપર બેસી વિચાર કરી તે વિચારોને પરિપાકદશામાં આણવા અંતે આ દ્વારમાં થઈને મહારાજ ધર્મભવનમાં આવે છે, અને દ્વારે દ્વારે આટલો સંકેત લક્ષમાં રાખે છે.

સર્વે ભીમભવનમાં પેઠા અને ઉગ્ર ભીમપ્રતિમા પાસે આવી ઉભા.

વિદ્યા૦- “ચંદ્રકાંત, વાયુપુત્ર ભીમસેનનું આ ભવન છે, પાંચાલી – પ્રજા – નું બળ સાચવનાર – Spirit of Protection, Prestige and Power – તે આ છે. મૂર્તિ નીચે વૃદ્ધ મહારાજનો લેખ વાંચો.

"મલ્લરાજનું બળ એના સૈન્યમાં નથી. એનું સૈન્ય એના દેહને માટે નથી અને એના કુટુંબને માટે પણ નથી. રત્નનગરીની પાઞ્ચાલી પ્રજાને માટે એટલે એ પ્રજાના રક્ષણને માટે એ સૈન્ય છે, અને એ સૈન્ય એ પાઞ્ચાલીના પ્રતિકાર્યમાં પ્રવૃત્ત થાય ત્યાં સુધી જ એ સૈન્યમાં બળ છે. એવા બળવાળા એ સૈન્યના આત્મારૂપ ભીમસેન ! અર્જુનનું બળ દૂરગામી અસ્ત્રમાં[૧] છે તો ત્હારું બળ સમીપઘાતી શસ્ત્ર[૨]માં છે એ શસ્ત્રાસ્ત્ર માત્ર ચર્મચક્ષુ દેખે છે તે નથી, પણ હે વાયુપુત્ર ! ત્હારા પિતા વાયુદેવના જેવો અદૃશ્ય સ્પર્શજ્ઞેય સર્વવ્યાપી અને પ્રાણદાતા એવો ત્હારો પ્રતાપ છે. પાઞ્ચાલીનો ગુપ્ત પરાભવ કરનાર રાજ્યમાંના અંતઃશત્રુ કીચક–ઉપકીચક પેઠે ત્હારા બાહુબળથી અંધકારમાં જ નાશ પામશે. એ સતીનો પ્રકટ પરાભવ કરનાર ત્હારા જ રાજકુળના કુલાંગાર અંતઃશત્રુઓ ત્હારી ગદાના પ્રકટ પ્રહારથી નાશ પામશે. બ્હારના રાક્ષસો સામે પણ ત્હારું જ બળ સંહાર કરશે. પાંચાલી દુઃખ પામશે ત્યારે પ્રથમ આશ્વાસન ત્હારા બળથી પામશે.


  1. अस् એટલે ફેંકવું - ઉપરથી ફેંકવાનું હથીયાર
  2. शस् = કાપવું ઉપરથી કાપવાનું હથીયાર.