પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭


ચંદ્ર૦- મને તો આ સ્થાનમાં કાંઈ નવીન જ આનંદ થયો છે અને પળવાર સરસ્વતીચંદ્રને ભુલી જાઉં છું અને પળવાર એના આત્માને આ ભવનમાં ફરતો પ્રત્યક્ષ કરું છું.

વીર૦– સાહેબ! વ્યાસને માથે રૂપક લખી આખું હીંદુસ્થાન ઠગવાનો આરોપ મુકો છો; અને તે રૂપકને પણ ક્લિષ્ટ કરી નાંખો છો: તેથી થતો હાસ્યરસ આનંદરૂપજ ગણું છું, અને બુઢા વ્યાસને બાદ કરી તમારાં ભવન અને આસનોના ઉચ્ચગ્રાહ વિચારતાં શુદ્ધ આનંદ થાય છે.

વિદ્યા૦- ચાલો, એ બહુ છે. હવે બેસીને વાત આટોપી દેઈએ.

સર્વ કુરુક્ષેત્રમાં ગયા અને બેઠકો ઉપર બેઠા. પ્રવીણદાસે વિષય આરંભ્યો.

પ્રવી૦– રાજસત્તાનું સ્વરૂપ માદ્રી, તેને દિવ્ય વૈદ્ય અશ્વિદેવના જોડાએ બે પુત્રો આપ્યા - એક સુન્દરતાનું સ્વરૂપ નકુલ, અન્ય પ્રાજ્ઞતાનું સ્વરૂપ સહદેવ. વૈદ્યદેવની કૃપાનાં ફળ શરીરની સુન્દરતા અને શરીરનાં આરોગ્યપોષણ એ બે છે. રાજ્ય અને પ્રજા બે મળી જે એક શરીર થાય છે તેની સુન્દરતાને નકુલ જાળવે છે અને તેના આરોગ્ય-પોષણનો પ્રાજ્ઞ સહદેવ છે.

નકુલ चित्रमार्गविद् છે, તેના ભવનમાં પાંચાલીની શૃંગારસામગ્રી તૈયાર થાય છે. તેને અર્થે તે રાજ્યનું દ્રવ્ય ખરચે છે. સહદેવ ભંડાર ભરે અને નકુલ ખરચે. રાજ્યસત્તાનું પ્રથમ સુફળ એ કે રાજ્યની સમૃદ્ધિ પ્રજાને અર્થે ખરચાય – સુન્દર કળાઓથી, ચિત્રમાર્ગોથી, નકુલભવનમાં તે વિચારાઅચાર રચાય છે. વૈરાટનો અશ્વપાલ થઈ અશ્વિપુત્રે કામ કરેલું છે. રત્નનગરીની પ્રજામાં ઉદ્યોગ આદિનાં ફળ પરદેશમાંથી આણવા અર્જુન પ્રવર્તે છે, પણ પ્રજાનાં મનને આનંદ આપી પ્રજામાં ઉદ્યોગની અને સુન્દરતાની કળાઓની પ્રવીણતા અને રસજ્ઞતા ઉત્પન્ન અને વિકસિત કરવી તે નકુલભવનમાં થાય છે. – Nakula introduces and fosters all our indigenous industries and arts, including what you call the fine arts. અમારા ચિત્રકારો, ગાયકો, શિલ્પકારો, યંત્રકારો આદિ સર્વ કળાનાં સ્થાનમાં નકુલદેવ નિપુણતા, દ્રવ્ય, અને ઉત્સાહ ભરે છે, અને નવા નવા વેશ ક્‌હાડતાં તેમને શીખવે છે. પોતાનાં ઘર સુન્દર અને સ્વચ્છ રાખવાં અને સગવડોથી અને વિનોદસ્થાનથી ભરવાં એ કામ સ્ત્રીજાતિ કરે એવું પુરુષથી થતું નથી. તેમજ નગરો, ગામડાં, અને જનપદ દેશ એમાં પણ આ ક્રિયા કરવી પડે છે, તે પ્રજા જાતે કરી શકે એટલું રાજાથી નથી થતું. પ્રજાને આ કામમાં અભ્યસ્ત, રસિક, પ્રવૃત્ત અને સુશિક્ષિત રાખવી