પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪


ભક્તિ૦– વિહારીપુરી, ગુરુજીના નવીન જૈવાતૃકને લેઈ કીયા પ્રદેશમાં અલખ જગવવા જાવ છો?

વિહાર૦– સુરગ્રામની પવિત્ર રમણીય સ્થાન એમને દેખાડવાં એવી ગુરુજીની આજ્ઞા છે.

વામની૦– નવીનચંદ્રજી તે આ જ કે ?

કુમુદ જાણતી છતાં પળવાર કંપી.

વિહાર૦– હા, એ જ.

મોહની૦- ભવ્યતા અને સુન્દરતાનો સંયોગ પુરુષવર્ગમાં આજે જ પ્રત્યક્ષ કર્યો. વિહારપુરી, કંઈ કંઈ જનોની રમણીય લખ વાસનાઓની આશાએાને નષ્ટ કરી સ્ત્રીસૃષ્ટિથી આ રૂપને પરોક્ષ કરવું ગુરુજીએ શાથી ઉચિત ધાર્યું ?

કુમુદના હૃદયનો નિઃશ્વાસ મુખબ્હાર સાકાર થયો - પ્રત્યક્ષ થયો - લાગ્યો. એની અંતર્ની જિજ્ઞાસાને ઇષ્ટ જ્ઞાનને માર્ગે જવાનું વાહન મળ્યું. નીચી ર્‌હેતી દૃષ્ટિને પાંપણેામાંથી ઉંચી વળવા દેઈ એ વિહારપુરીના મુખ ભણું જોવા લાગી.

વિહારપુરી સ્મિત કરી બોલ્યો : "મોહનીમૈયા, એક સૃષ્ટિથી બીજી સૃષ્ટિને પરોક્ષ કરવી એકામ તો શ્રીયદુનંદનની માયાનું છે. ગુરુજી તો માત્ર અધિકારીઓને શ્રીઅલખનું સ્વરુપ પ્રત્યક્ષ કરાવે છે; અને સૂર્યના પ્રકાશથી ચંદ્ર અને તારાનો પ્રકાશ ઓછો થઈ જાય છે તેમ અલખના પ્રકાશથી લખ સૃષ્ટિ શાંત થવી ન થવી એ તો એ પ્રકાશના અને અધિકારીના બુદ્ધિક્ષેત્રના સંયોગનું પરિણામ છે.ગુરુજી એ વાતમાં સર્વદા તટસ્થજ ર્‌હે છે."

બંસરી૦– ત્યારે શું કૃષ્ણ કદમ્બમાં અલખ રહી ગોપિકાજનના હૃદયને અવશ કરનાર કૃષ્ણ-સ્વરૂપના અલખ જ્યોતિનું લખ ગાન આ પુરુષના હૃદયમાં ઉતરી શક્યું છે ?

વિહાર૦- બંસરી, ગુરુજી પાસે આવતા પ્હેલાંથી જ એ બંસરી એ હૃદયમાં પ્હોચેલી જણાઈ છે.

આ ઉત્તરથી કુમુદ વિના સર્વ સ્ત્રીઓનાં હૃદય તૃપ્ત થયાં. કુમુદનું હૃદય તો અધિક તપ્ત થયું. બંસરીએ સરસ્વતીચંદ્રને પ્રણામ કર્યો અને શરમાતી શરમાતી બોલી: "સાધુજન ! પુરુષ અને સ્ત્રી એ એકજ