પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૦


મોહની – તેની શક્તિ ક્યાં અને ત્હારી ક્યાં? જે ઐાષધ એકથી જીરવાય છે તે બીજાને મૃત્યુરૂપ થઈ પડે છે.

ચંદ્રાવલી – મધુરી, તને પ્રિય, હિત, અને પથ્ય હશે તે જ માર્ગ શોધીશું, ત્હારી જે ચિકિત્સા કરી આ કૃપાળુ સાધુજનોએ ત્હારું સખીકૃત્ય કરવા માંડ્યું છે તે ગભરાયા વિના કે ક્ષોભ વિના તેમને કરવા દે કે અમારી ચિકિત્સા શુદ્ધ અને સંપૂર્ણ થાય. તેનું ઔષધ કરતી વેળા ત્હારી સંમતિ વિના કંઈ પણ નહી કરીયે એ સત્ય સમજજે. વિવાસિત અદૃશ્ય સીતાએ રામનું દર્શન કર્યું અને રામનો સ્પર્શ કર્યો તે કાળે જેમ સીતાની પાસે તમસા હતી તેવી જ મને સમજજે. ભક્તિમૈયા, તમે જે સાધનથી ચિકિત્સા આરંભી છે તે કંઈક જાણું છું, અને બાકીનાં સાધન પછી જણવજો. પણ તે ચિકિત્સાની વેળાએ મ્હારી દુલારીને રજ પણ વ્યથા થાય એમ ન કરશો.

એની પાછળથી બિન્દુમતી આગળ આવી બોલી. “મધુરીમૈયા, તું ગભરાઈશ નહી. ત્હારી અનેક પડવાળી પ્રીતિ જેવી સૂક્ષ્મ તેવી પવિત્ર છે ને તેવીજ રમણીય ઐન્દ્રજાલિક છે.

[૧]"तटस्थं नैराश्‍यादपि च कलुषं विप्रियवशात्
वियोगे दीर्घेऽस्मिन् झटिति घटनोत्तम्भितमिव ।।
प्रसन्नं सौजन्यादपि च करुणैर्गाढकरुणम्
द्रवीभूतं प्रेम्णा तव हृदयमस्मिन् क्षण इव ॥

“કેમ બંસરીમૈયા, સત્ય કે નહી? મને તે દૃષ્ટાંત વાંચેલું સુઝયું બાકી અનુભવ તો તમને.”

બંસરી - ત્હારી મેધાના તર્ક આગળ અમારા અનુભવનાં અનુમાન પાછાં પડે છે. માટે ત્હારી વાત સાંભળીશું પણ ઔષધકાળે તે અનુભવને જ આગળ આણવો પડશે.


  1. ૧. છે આશ તજી બનીયું ઉદાસી, રોષ ભર્યું તજવા થકી,
    ટમટમી રહ્યું આ દીર્ધ કાળ વિયોગમાં મળવા મથી,
    સૌજન્યથી સુપ્રસન્ન, બળી પ્રિયજનદુખે અનુકમ્પથી,
    આ ક્ષણ ગળ્યું રસમય હૃદય તુજ પ્રેમ ઉદય થયા થકી.
    ઉત્તરરામ “રા. મણિલાલના ભાષાંતર ઉપરથી. વળી જુવો આ
    ગ્રંથ ભાગ. ૧ પૃષ્ઠ ૩૦૯.