પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૩

છીયે તે એના જાણવામાં આવી અને અનેક નવીન ગુંચવારા એના વત્સલ હૃદયમાં ઉભા થયાં.

પાછલે પ્રહરે કુમુદને વામની અને બંસરીની જોડે ગિરિરાજનાં સુન્દર સ્થાનો જોવા મોકલી, ગયા પ્રકરણમાં વર્ણવેલા ચોકના એક છાયાકુંજમાં એક શિલા ઉપર મોહની, ભક્તિ, અને બિન્દુમતી સાથે ચન્દ્રાવલી બેઠી અને સઉની પાસેથી કુમુદ વીશે તેમણે કહેલી વાર્તા અને ધારેલી યોજના સાંભળી લીધી. તે પછી કેટલીક વાર એ ઓઠે આંગળી મુકી બેાલ્યા વિના બેશી રહી અને વિચારમાં પડી અને બીજાં સર્વ પણ ચુપ રહ્યાં. એટલામાં કુંજ ઉપર ઢંકાયલી વેલીમાં સંતાયેલી કોકિલાએ ટૌકો કર્યો ને બિન્દુમતી ઉચું જોઈ ગાવા લાગી.

[૧]"अनुमतगमना शकुन्तला
तरुभिरियं वनवासबन्धुभिः ।
परभृतविरुतं कलं यथा
प्रतिवचनीकृतमेभिरीवृक्षम् ॥"

મોહની – બિન્દુ, આ શ્લોક શાથી ગાયો ?

બિન્દુ૦ - મ્હેં મધુરીને આશીર્વાદ દીધો.

મોહની – એને ક્યાં પતિગૃહમાં જવું છે ?

બિન્દુ૦– જશે ?

મોહની૦– કોણે કહ્યું?

બિન્દુ૦– કોકિલાએ કહ્યું.

ચન્દ્રા૦- બેટા બિન્દુ, તું સત્ય ક્‌હે છે. ત્હેં મધુરીને પુછ્યું કે આ ગિરિરાજ ઉપર જે ઉદ્દેશથી તું આવી છે તેનો આત્મા કામ ન હોય તો કીયો છે?

બિન્દુ૦– એના જેવું જ પુછ્યું.

ચંદ્રા૦- એણે શો ઉત્તર આપ્યો?


  1. શકુન્તલાના વનવાસનાં બન્ધુ આ વૃક્ષો છે તેમણે એના જવાને અનુમતિ આપી છે, કારણ કોકિલનો આકલ કુહુકાર થયો તે કુહુકાર વડે આ વૃક્ષોએ જ આ પ્રત્યુત્તર દીધો છે. (શાકુન્તલ)