પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૪

નથી, તેમને ક્વચિત્ આરંભથીજ સૂક્ષ્મ પ્રીતિમાં પડેલાં દેખીયે છીએ. પણ ઘણુંખરુ તેઓના પ્રથમ સમાગમ સ્થૂલ કામથી જ બંધાય છે અને સંસારનાં કામસૂત્ર તેને માટે જ બંધાયેલાં છે. આપણા અલખ માર્ગમાં અલખના લખસ્વરૂપનો આદર રાખી અલખનું બોધન થાય છે, માટે સ્થૂલ કામાદિને આદર આપવામાં આવે છે પણ તે એવી વાસનાથી કે સ્થૂલ વિષયમાંથી સૂક્ષ્મ વાસનાઓ એટલે સૂક્ષ્મ કામ ઉત્પન્ન થાય. આપણા શરીર સ્થૂલ પાર્થિવ છે, તે સ્થૂલ અન્નાદિથી પોષણ પામે છે, સ્થૂલ કામથી પ્રવૃત્ત થાય છે, અને સ્થૂલ ભોગ ભોગવી સ્થૂલ પ્રીતિ પામે છે. આ સ્થૂલ લખસૄષ્ઠિમાંથી નિવૃત્ત થવા ઇચ્છનાર, સૂક્ષ્મ સૃષ્ટિ શોધે છે. આપણા સ્થૂલ શરીરમાં સૂક્ષ્મ દેહ અંતર્ગત થઈ ર્‌હે છે અને એ અલખ સૂક્ષ્મ દેહની અલખ શક્તિનું ઉદ્દબોધન કર્યાથી સૂક્ષ્મ વાસનાઓ અને સૂક્ષ્મ કામ પ્રકટ થાય છે. લખ પદાર્થોના અલખ ધર્મોનું જ્ઞાન, આ વાસનાઓને અને આ દેહને પોષે છે. લખનું સૂક્ષ્મ જ્ઞાન તે સૂક્ષ્મ શરીરનું અન્ન છે અને તે અર્ધુ સ્થૂલ અન્નની પેઠે બાહ્ય સંસ્કારથી અને અર્ધ પરમ જ્ઞાનની પેઠે અલખ ચેતનના અંતઃસ્વભાવથી સૂક્ષ્મ શરીરને પ્રાપ્ત થાય છે. अथातो धर्मजिज्ञासा, अथातः कर्मजिज्ञासा, अथातोः ब्रह्मजिज्ञासा આદિ વાક્યોમાં ક્‌હેલી સર્વ જિજ્ઞાસાઓ તે આવા સૂક્ષ્મ કામનું એક રૂ૫ છે અને તેના ભોગથી ગુરુશિષ્ય અને મિત્રાદિ વર્ગ સૂક્ષ્મ પ્રીતિને પામે છે. અલખ માર્ગમાં મધ્યમાધિકારીઓ અનેક શાસ્ત્રોનાં સૂક્ષ્મ જ્ઞાનાન્નથી પોષણ પામે છે, સ્થૂલ અન્નથી જેમ સ્થૂલ કામનાં દીપનાદિ થાય છે તેમ આ સૂક્ષ્મ જ્ઞાનથી સૂક્ષ્મ વાસનાઓનાં દીપનાદિ થાય છે. જે દમ્પતીઓ સ્થૂલ મદનના પ્રભાવથી વ્યતિષક્ત થયાં હોય અને તે પછી જેમનામાં વિદ્યા, ભક્તિ, આદિથી સૂક્ષ્મ દેહ દ્દઢ બંધાયો હોય છે તેમનામાં આવી સૂક્ષ્મ વાસનાઓ પ્રકટ થાય છે, આ સૂક્ષ્મ કામના ભેાગને અર્થ સ્ત્રી અને પુરુષ સમાગમ રચે છે ત્યારે પુરુષની બુદ્ધિ જે દાન કરે છે તે સ્ત્રીની વૃત્તિથી પોષણ પામે છે. લખસંસારની સર્વ ઉચ્ચનીચ ઘટનામાં જ્યાં જ્યાં આવા સમાગમ થાય છે ત્યાં ત્યાં સ્ત્રીપુરુષનાં સૂક્ષમ શરીર સૂક્ષ્મ કામથી રસાવિષ્ટ થાય છે. સ્થૂલકામભોગમાં રસાવિષ્ટ પ્રાણીઓ સલિલમાં પ્રવેશ કરતાં હોય, ક્ષીરમાં જળ અને જળમાં ક્ષીર સંગત થતાં હોય, એવાં સ્થૂલ સંગત જીવનની વાસના રાખે છે, તેવી જ રીતે સૂક્ષ્મ કામ સૂક્ષ્મ શરીરોના ક્ષીરજલ જેવા સમાગમની વાસના રાખે છે, શ્રીરામ સીતાના સૂક્ષ્મ કામ અને સૂક્ષ્મભોગ આવા જ હતા, માઘ કવિ “गॄहिणि गहनो जीवनविधिः ” કહી સૂક્ષ્મ વાસનાને બળે મરણ પામતાં