પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

There-too-my noble friend has got this nobleart by birth and by instinct, while the pest of pauperism has left me a low-bred fool. Suppose, my wild utterances have assailed the sacred ears of my sweet hostess, what a wretched and ungrateful idiot must I have proved myself to her mind and how must I have marred its sweetness with my sour effusions ?”

આત્મપરીક્ષકને જાત ઉપર રોષ ચ્‍હડ્યો. આ છેલાં વાકય પણ મ્‍હોટેથી બોલાઈ ગયાં, અને તેની સાથે એ પ્રસંગ વિનેદયોગ્ય ગણી ગુણસુન્દરી હસતી હસતી છતી થઈ અને એ ખંડમાં આવી. સુંદર પણ પાછળ આવી.

“ચંદ્રકાંતભાઈ ખારાખોટા સ્વાદ વગરનું ગળપણ જીભને કે પેટને કોઈ ને રુચે નહી. અમારા રજવાડામાં અમે ખરી ખોટી મીઠાઈ રાખીએ તે વચ્ચે તમે મશાલો ચખાડો ત્યારે જ ઠીક લાગે. માટે અમને કે તમને કોઈને દોષ દેવાનું નથી, ” ગુણસુન્દરી ટેાળ કરી બોલી.

ગુણસુંદરીને જોઈ તથા સાંભળી ચંદ્રકાંત આભો બન્યો. પોતાના મનનું ભય ખરું પડયું. પોતાથી બોલાયલું શું શું સંભળાયું હશે અને શું શું નહીં સંભળાયું હોય એ વિચાર અને ગુંચવારાની ગાંઠ ઉકેલતાં પ્‍હેલાં મેધાવિની પ્રધાનપત્નીના પ્રશ્નને ઉત્તર દેવો આવશ્યક લાગ્યો.

“ગુણસુંદરી બ્‍હેન, સરસ્વતીચંદ્ર જેવા મિત્રો જોતાં મ્‍હારા મનમાં મુંબાઈનગરીનું અભિમાન વધે છે અને એજ નગરીમાં ઉછરેલા મ્‍હારા જેવા બ્રહ્મબન્ધુઓની ગ્રામ્યતા જોઈ એ અભિમાન ઉતરી જાય છે. અધુરામાં પુરું મ્‍હારા ખોવાયલા રત્નના વિયોગ પછી એ રત્નના સહવાસથી જરી તરી આવેલા સંસ્કાર પણ મ્‍હારામાંથી જતા ર્‌હેવા લાગ્યા છે, અને હવે તો સિંહીએ પાળેલા ઉંટને મળેલું ડ્‌હાપણું શોધવા વૃત્તિ થાય છે.”

"એ શું ડ્‌હાપણ ?

“પંચતંત્રમાં કથા છે કે સિંહના બચ્ચાં ભેગું ઉછરેલું ઉંટ તે સર્વની જનની સિંહી પાસે બડાશો મારવા લાગ્યું ત્યારે જનનીએ કહ્યું કે

“शूरोसि कृतविद्योऽ सि सुवृतोऽ सि च पुत्रक ।
“यस्मिन् वंशे त्वमुत्पन्नो गजस्तत्र न हन्यते ॥