પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૧

Alas, that what seems so sound to unprejudiced reasoning and to the unartificial but artistic conscience of refined natural instincts, should have so totally lost its once sublime and august position from the ethical pantheon of our modern Hinduism ! Blessed be these few sacred remnants of those days of the spiritual light and purity of my country” !

“હું પતિ કે પ્રમાદ પતિ એ પ્રશ્ન પ્રમાદના મરણથી શાન્ત થાય છે. આ સાધુલોકના શાસ્ત્રથી કે પાશ્ચાત્ય શાસ્ત્રથી કે રાજકીય ન્યાયશાસ્ત્રથી કુમુદનું પાણિગ્રહણ અધર્મ નથી. પણ મને તેની વાસના નથી. કુમુદસુંદરીની અત્યાર સુધીની રમણીય પવિત્ર ચિત્તવૃત્તિના ચિત્રમાં આ પાણિગ્રહણથી કલંક બેસે તે તો દુ:સહ જ. સર્વથા સ્થૂલ શરીરને દૂર રાખી સૂક્ષ્મ શરીરનો જ સમાગમ રચવો, અને કુમુદસુંદરી પરિવ્રાજિકામઠમાં અથવા ચન્દ્રાવલી પાસે આયુષ્ય ગાળે, એ ચિત્ર જ રમ્ય છે."

“પણ... આ...વિચાર કરવાનો મને શો અધિકાર છે? મ્હેં તો તેનો અપરાધ સંપૂર્ણ કર્યો. એ અપરાધ ધોઈ નાંખવાનો માર્ગ માત્ર એટલો જ કે એ અપરાધનું બલિદાન થયેલી શરીરિણીને જે માર્ગે શાન્તિ મળે તે માર્ગે આપવી. એ માર્ગ રમણીય છે કે નહીં, ધર્મ્ય છે કે નહી, એ વિચારનો અધિકાર મને નથી – તેને છે. અથવા અલખકામતન્ત્ર પ્રમાણે તો આ વિચારનો અધિકાર કુમુદને સોંપી મ્હારે તટસ્થ ર્‌હેવું એ પણ ધર્મ નથી. એ તન્ત્ર પ્રમાણે તો એ દુ:ખી હૃદયનું પરિશીલન કરી, તેની અનેક ગુફાઓમાં ગુપ્ત રહેલાં મર્મ શોધી, એ શોધથી જે માર્ગ જડે તે લેવો એ જ મ્હારો ધર્મ છે. અર્જુનનું રક્ષણ કરવા શ્રીકૃષ્ણે પ્રતિજ્ઞાનો ત્યાગ કરી ચક્ર લીધું હતું તે જ રીતે સંસારના ધર્મની અવગણના કરવાથી એ અનાથ હૃદયનો ઉદ્ધાર થાય એમ હોય તો તે કરવો એ મ્હારો ધર્મ !”

“અતિતીવ્ર ધર્મ : શું તું કુમુદને સંસારમાં નાંખવા મને પ્રેરશે ? શું તેને પુનર્વિવાહિત કરાવવા તું મને આગળ કરશે ? અથવા બુદ્ધિધન અને સૌભાગ્યદેવી જેવાંની વત્સલતાની ભોગિની શું એવાં હૃદયની પ્રીતિ ભુલી જશે ? અથવા ! – તે ગમે તેમ હો ! પ્રમાદ ગમે તેવો