જરા જડ હતો. તેણે પોતાનું નામ શાંતિદાસ પાડ્યું હતું. બીજો સ્વભાવમાં તેમ બુદ્ધિમાં જરી મસ્ત હતો અને તેને એટલી બધી વાતોમાં શંકા થતી કે એણે પોતાનું નામ જાતે જ શંકાપુરી પાડ્યું હતું અને, મશ્કરીમાં શાંતિદાસને શમ્કાભારતી નામ આપી, શંખભારતી ઉચ્ચાર કરતો હતો. શાંતિદાસ તેમાં પણ શાંતિ રાખતો હતો. સુન્દરગિરિનો સંપ્રદાય એવો હતો કે નવા સાધુઓને અલખ જગવવા કે ભિક્ષાર્થે મોકલવો નહી પણ વર્ષાવધિ ગુરના અન્તેવાસી [૧] થઈ ર્હે.
સરોવરના આરા ઉપર દૃષ્ટિ પડે એવે સ્થાને એક આંબાના થડ આગળ મૃગચર્મ પાથરી સર્વેયે વિષ્ણુદાસ માટે બેઠક રાખી. શંકાપુરી અને શાન્તિદાસ સરોવરમાં તરવા પડ્યા. બાકીનું મંડળ ગુરુની આશપાશ બેઠું. સરોવર ભણી દૃષ્ટિ ફેરવી વિષ્ણુદાસ બોલ્યા.
“વિહારપુરી, ત્હારું હૃદય આ સ્થાનના જેવું શાંત અને શીતળ છે – તેનું કારણ ચન્દ્રાવલીમૈયાની અસ્પૃશ્ય ઉચ્ચ શાખાસમૃદ્ધિની જ છાયા છે. નવીનચંદ્રજીનું હૃદય આ સરોવર જેવું છે, શીતળ છે, શાન્ત છે, અમૃતથી ભરેલું છે, અગાધ છે, પણ એના અંતભાગમાં - શાં સત્વ, તિરોહિત છે તે ! સમજાતું નથી.”
વિહારપુરી કંઈ સ્મિત કરી બોલ્યો “ એ સરોવરને માથે વૃક્ષોની છાયા નથી અને સૂર્યના તાપથી તેમાંનો રસ સુકાય છે. વિહારપુરીને માથે છાયા ન હોય તો પણ તાપથી સહસા સુકાય નહીં એવો એનો પૃથ્વી જેવો જડ સ્વભાવ છે."
જ્ઞાનભારતી - ગુરુજી, ચન્દ્રાવલીમૈયાએ ચિકિત્સા કરી તો ઔષધ પણ તેમનું જ દર્શાવેલું કરવું યોગ્ય છે.
જાનકીદાસ૦– તે સર્વે તો રાત્રિયે જણાશે.
વિહાર૦- રાત્રિએ જે નવી સૃષ્ટિ રચવાને સંભવ હોય તો દિવસે તેની યોજના ક૯પી રાખીયે તે ઠીક.
વિષ્ણુ૦– વિહારપુરી !
વિહાર૦- જી મહારાજ !
વિષ્ણુ૦- આજ રાત્રિથી નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં વાસ આપવો.
- ↑ ૧. પાસે ર્હેનાર શિષ્ય