પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૦

સમાગમોત્કર્ષ ધુણાક્ષરન્યાયે જ થાય છે તે અલક્ષ્ય સંપ્રદાયનાં દમ્પતીઓમાં સ્વભાવસિદ્ધ પરિપાક પામે છે. નવીનચંદ્રજીની પાછળ મધુરીમૈયા આવાજ કોઈ નાડીચક્રોના બળથી આકર્ષાઈ આવેલાં છે અને તે જ નાડીચક્ર તેમના અનાગત પ્રારબ્ધનો ઉત્કર્ષ ચિરંજીવશૃંગ ઉપર રચે તો તેને લક્ષ્યવિભૂતિ જ ગણવી.

શંકાપુરી- જે એ ઉત્કર્ષ જાતે જ રચાવાનો હોય તો આપ જેવા વિરક્ત મહાત્માએ આ સ્ત્રીપુરુષને એકઠાં કરવાની ક્ષુદ્ર પ્રવૃત્તિમાં શું કરવા પડવું પડે ? એ કામ તો વિહારમઠના અધિષ્ઠાતાનું છે.

જ્ઞાન૦– શંકાપુરી, તમે શાંતિદાસને માટે જે ઉપનામ આપો છો તેવા તમે પણ શંખભારતી દેખાવ છો. ગુરુજીની અને અલખ સંપ્રદાયની અવજ્ઞા કરનાર જન આપણા મઠમાંથી બહિષ્કાર પામે છે.

શાંતિદાસ- ખરી વાત છે. માબાપ છોકરાંને પરણાવે અને ભેગાં રાખે તેમ ગુરુજી કરે છે તેમાં એમનો દોષ ક્‌હાડવો એ તે કૃતઘ્નતા થાય.

વિહારપુરીથી હસી પડાયું: “ જી મહારાજ, નિમ્નદેશનાં ભ્રષ્ટ સંસારીયોનાં સંસ્કાર આ સાધુઓમાંથી ઘસાઈ જવાની હજી ઘણી વાર છે એટલામાં, એ સંસારનો અનુભવ આપને હતો તેના સાધનથી, આપ આમને તૃપ્ત શાંત કરી શકશો.

જાનકી૦– શાંતિદાસ ઉચિત વચન બોલે છે. તેઓ પણ સંસારી હતા. અને એમનાં સંસારસંસ્કારી વચનથી સંસારસંસ્કારવાળા શંકાપુરીની શંકા શાંત થવી જોઈએ. विषस्य विषमौषधम्.

વિષ્ણુ૦– શંકાપુરીની શંકા સ્થાને થઈ છે. અનેક પ્રવાસીઓ ભિન્ન ભિન્ન માર્ગે થઈને એક જ સ્થાનમાં પ્હોચે અને તેમાંના કોઈકને એવી ભ્રાન્તિ થાય કે જે માર્ગે થઈને હું આવ્યો છું તે માર્ગે આ સર્વે આવ્યા હશે – તો તે ભ્રાન્તિ અસ્થાને નથી. વિહારમઠના અધિષ્ઠાતાના સૂક્ષ્મ ધર્મ જાળવનાર જ્ઞાનભારતી નવીનચંદ્રજીને માટે જે યોગ ઇચ્છે છે તેનું તારતમ્ય સમજી શકવા જેટલો તેમનો પરિચય શંકાપુરીને થયો નથી, ને એની દૃષ્ટિમાંથી સંસારનાં મમતા અને અહંકારથી બનેલા ભેદાભેદ ખસી ગયા નથી. સંસાર સ્ત્રીને શુદ્ધ ગણે છે અને સ્ત્રીપુરુષના યોગમાં શારીરિક પ્રયોગ અને સંતાનવાસના વિના બીજાં ફળ લેખતો નથી. જ્ઞાનભારતી ! હું પણ એ જ સંસારમાં હતો, અને સ્ત્રીપુરુષને અને શિશુશૂદ્રાદિને કેવળ આત્મરૂપ