આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભુલો હશે માટે તેને નિરાધાર ક્હેનારે પોતાની ગ્રહસ્થિતિ જાણી વેળોવેળા પોતાના ઇતિહાસ સાથે સરખાવવી અને તેમ કર્યા પછી એ શાસ્ત્રના સત્યાસત્યનો નિર્ણય કરવો એ જ ન્યાય્ય છે. શંકાપુરી, જાનકીદાસ પાસે તમારી જન્મપત્રિકા કરાવો અને એ શાસ્ત્રનું અધ્યાપન અને તેના અનુભવ કરી પછી આ પ્રશ્ન પુછો.
શંકા૦- નવીનચંદ્રજીનો ફલાદેશ શો છે અને શા ઉપરથી આપે ક્હાડ્યો ? તેના જન્માક્ષર તો આપની પાસે હશે નહી.
વિષ્ણુ૦– પ્રશ્નલગ્ન ક્હાડી, મ્હારી પોતાની જન્મકુંડલીના સંયોગો સાથે મેળવી, સઉ કર્યું અને તેથી સ્પષ્ટ થયું કે આ પુરુષને યૂપયોગ છે.
શંકા૦- તેનું ફળ શું ?
વિષ્ણુ૦- જાનકીદાસ, આમની જિજ્ઞાસાને તૃપ્ત કરો.
જાનકી૦–
- धीरोदारो यज्ञकर्मानुसारो
- नानाविद्यासद्विचारो नरो वै ।
- यस्योत्पत्तौ जायते यूपयोगो
- योगो लक्ष्म्या जायते तस्य नूनम् ॥
તેમાં વળી ગુરુ બીજા સ્થાનમાં હોય તો વિશેષ ફળ એવું છે કે,
- सद्रूपविद्यागुणकीर्तियुक्तः
- संत्यक्तवैरोऽपि नरो गरीयान् ।
- त्यागी सुशीलो द्रविणेन पूर्णो
- गीर्वाणवन्द्ये द्रविणोपयाते ॥