- “આ દમ્ભ થકી, આ ઢોંગ થકી સરી પડીશ રસાતળમાં હું !
- “આ નાટકના પટને ચીરી પેસીશ - જ્યાં વણવેશ નિશા તું. ” ૭
કુસુમ ગાઈ રહી ત્યાં સુધી સર્વ એકચિત્ત હતાં. લાવણી ગવાઈ રહી એટલે એકાદ મીનીટ કોઈ બેાલ્યું ચાલ્યું નહી, અને કુસુમ પણ શ્રાંત લાગી. અંતે ચંદ્રકાંત બોલ્યોઃ “બ્હેન કવિનું કવિત્વ કવિતાનું ગાન સાંભળી પ્રફુલ્લ થાય છે. આ કવિતાને ગવાતી સાંભળવાને એનો કવિ પ્રત્યક્ષ નથી. તે હત તો પોતાના ચિત્તને પુછી ગાન રસિકતાને કેવું ભાવ્યું તે ક્હેત. પણ હું તો રંક ઘરમાં ર્હેનાર છું તેને મન તો આ નવીન પક્વાન્ન મધુર લાગ્યું એ વિના બીજી પરીક્ષા નથી. હવે આપણી બીજી સરત પુરી કરો."
એ આ બોલે છે એટલામાં “આવું છું ” કરી કુસમ હરિણની ત્વરાથી ગઈ અને આવી, સાથે એક પ્હોળી અને ઉંચાઈ વગરની પેટી લાવી પેટી ઉઘાડતી ઉધાડતી બોલી:
“ચંદ્રકાંતભાઈ, મ્હોંડે બોલીને તમને મ્હારો સમજેલો અર્થ ક્હેવાની સરત નથી. આ કવિતા ઉપરથી મ્હેં ચિત્ર ક્હાડેલાં છે તે જોઈને હું શું સમજી છું તે જોઈ લ્યો. ?
“કાનને મધુરતા ચખાડી; હવે અાંખને ચખાડો.” ચંદ્રકાંત બોલ્યો.
“કુસુમને બધી વાતનો રસ, અને કોઈ વાતે એને શીખવનાર મળતું નથી તે જાતે જોઈજોઈને શીખે છે. એની આ ગતિમાં નિત્ય વિકાસની સામગ્રી ભરવી એવી એના પિતાની આજ્ઞા છે, પુત્રીનો ઉચ્ચગ્રાહી વિકાસ લેાકાચારવિરુદ્ધ છે અને એ વિકાસને ઉદાર અને ઉદાત્ત ગ્રાહક ન મળે તો કન્યાને દુ:ખમય આયુષ્ય ગાળવું પડે છે, માટે મને તો આ વિકાસ રાત્રે ઉજાગરા અને દિવસે ચિંતા કરાવ્યાં કરે છે, પણ ગૃહપતિની આજ્ઞા છે માટે તે પ્રમાણે ઉમંગથી વેલીઓને આધાર આપીએ તેમ કુસુમની સર્વ શક્તિઓને આશ્રય આપું છું.” ગુણસુંદરી બોલી.
“દેશી રજવાડાનાં બન્ધન મ્હેં નિન્દ્યાં તેનો અત્યારે પશ્ચાત્તાપ કરવો પડે છે. જે ભૂમિમાં શ્રીમાન્ વિદ્વાનો પોતાની અનાથ કન્યાઓને લોકમાં ભયંકર ગણાતી પણ વસ્તુતઃ શક્તિરૂપ સરવસ્તીદેવીનો પવિત્ર પ્રકાશ સમર્પે છે તે ભૂમિમાં, આર્યજનોનાં ખુંચી લીધેલાં શસ્ત્ર પાછાં આપવાની છાતી ચલવી શકે તો ઇંગ્રેજોને થાય તેવું, ઉદાર અને ઉદાત્ત પુણ્ય થાય છે. હબસીઓના દાસત્વના બંધ છોડનાર ઈંગ્રેજોને પ્રિય સ્વતંત્રતા - પૂજા આપના મંદિરમાં થાય છે, અને