પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૯

એક પરમ સત્ય છે. મનુષ્યને પ્રત્યક્ષ થતાં રૂપ સર્વે અનૃત અને અસત્ય છે. વિદ્યાયજ્ઞના યજમાનને પ્રત્યક્ષ થતો ઋતાંશ એકદેશીય હોય છે માટે જ નવો ઋતાંશ પ્રાપ્ત થતાં બે અંશનો નવીનરૂપે સમુચ્ચય પ્રાપ્ત થાય છે. અને માટે જ તર્કની અપ્રતિષ્ઠા અને અનિત્યત્વ કહ્યાં છે. ઋતમ્ભર પ્રાજ્ઞને પ્રત્યક્ષ થતું ઋતસ્વરૂપ સંપૂર્ણ અને સકલ છે, પણ સાવયવ છે, એ અવયવ ચંચળ છે, અને સર્વ બ્રહ્માણ્ડાદિની ઋતિ નિત્ય[૧]છે, પણ ઋતિવિષયભૂત અવયવોના સંબંધ નિત્ય નથી – જેમ આકાશમાં તારામંડળની ગતિ નિત્ય છે પણ તેમની ગતિના અવચ્છેદ નિત્ય નથી. લક્ષ્ય રૂપના અવયવભૂત ભૂતલોકનું લક્ષ્ય ક૯યાણ ઋતના પ્રાજ્ઞ સાક્ષીઓ જ જાણી શકે છે. અન્યને તે અલક્ષ્ય છે. સર્વ લક્ષ્ય યજ્ઞોના વિધિની શુદ્ધતા ઋતયજ્ઞથીજ પ્રાપ્ત કરાય છે. લક્ષ્ય અને અલક્ષ્યના અદ્વૈતનો યોગ પણ ઋતમ્ભર પ્રાજ્ઞો જ સંપૂર્ણ કળાથી પામી શકે છે.

આ ઋતથી વિલક્ષણ પરમ નિત્ય સત્યનો યજ્ઞ તે બ્રહ્મયજ્ઞ અથવા સત્યયજ્ઞ કહ્યો છે. જેમ ઋતમ્ભરનો પ્રજ્ઞાલોક ભૂતાર્થવિષય છે તેમ આ સત્યદૃષ્ટિ આત્મવિષય છે, પરમ અલક્ષ્ય સૂક્ષ્મતમ બ્રહ્મ નિષ્કલ અને વિરજ અસિરૂપે સુવર્ણમય અને ઋતકેશમાં રહેલું છે [૨]એ બ્રહ્મરૂપ સત્યનું મુખ ઋતરૂપ સુવર્ણમય પાત્રથી ઢંકાયલું છે,[૩] તે ઋત યજ્ઞ અને સત્યયજ્ઞના સંયોગથી ઉઘાડવાનું છે. લક્ષ્ય અલક્ષ્ય પરાવર અને જીવસ્કુલિંગનો ત્રિયોગ યોગ આ ઉભય યજ્ઞોનાં યોગથી જ થાય છે. લક્ષ્ય ધર્મ અને અલક્ષ્ય સત્યનો યોગ પણ આથી જ થાય છે. મહાત્માઓ પ્રથમ સર્વે લક્ષ્ય યજ્ઞોની કર્મ-સાધના કરી એ મહાતપને અંતે ધ્યાનયોગ અને જ્ઞાનયોગનાં તપ કરે છે તેને અંતે તે તપ પૂર્ણકલાથી થઈ ર્‌હેતાં તેમાંથી ઋત અને સત્યનો ઉદય સાથે લાગો પ્રત્યક્ષ થાય છે માટે જ શ્રુતિવચન છે કે ऋतं च सत्यं चाभीद्धात्तपसोऽद्यजायत [૪]


  1. कूटस्थनित्यता पुरुषस्य । परिणामिनित्यत्या गुणानाम् । यस्मिन्परिणम्यमाने तत्त्वं न विहन्यते तन्नित्यम् । योगसूत्रे वासभाष्यम् ।
  2. ૨ ૩. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧ર૦.
  3. ૨ ૩. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧ર૦.
  4. ૪. જેમ બળતણનું ઈન્ધન - કાષ્ઠ-બરાબર સળગે ત્યારે તેમાંથી એક ભડકાની અનેક જ્વાળાએા થાય તેમ (યોગીનું) તપ સારી રીતે સળગ્યું ત્યારેઋત અને સત્યની બે જ્વાળાએા ધરનાર એક ભડકો એ તપની પાસેપ્રત્યક્ષ થયો.