પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૫


આમન્ત્રિતાતિથિયજ્ઞ, અને ભૂતયજ્ઞ – એ ત્રણનાં ઋણમાંથી મુક્ત થયા વિના મઠયજ્ઞનો અધિકાર પ્રાપ્ત થતો નથી, કારણ આ ત્રણે પ્રકારે અતૃણી ન થયેલાં મનુષ્યનાં સૂક્ષ્મ શરીર સાધુસંસ્કારને માટે અસિદ્ધ હોય છે એટલું જ નહી, પણ મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞને આવી રીતે અસમાપ્ત રાખવાથી મનુષ્યલોકની અને ભૂતસંઘની દુઃસ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ થવાથી લક્ષ્યપરમાત્માના પરમયજ્ઞમાં વિઘ્ન આવે છે, અને તેથી જ મનુષ્યનો ભૂતસંઘમાં અંતર્ભાવ કરી તમને કહ્યા પ્રમાણે મનુએ કહ્યું છે કે સર્વ ભૂતોને દાન કરીને જ પ્રવ્રજ્યા ઘટે છે. એ દાન તે, ઘરને તાળું વાસી નીકળ્યાથી, નથી થતું, પણ ઘરમાંની વસ્તુઓને યથાવિધિ ભૂતયજ્ઞ કર્યાથી થાય છે ! આ પ્રમાણે સંસારસ્થના આશ્રમનું પાલન સર્વ આશ્રમનો આધાર હોવાથી જ મનુ કહી ગયા છે કે–

[૧]“यथा नदीनदाः सर्वे सागरे यान्ति संस्थितिम् ।
“तथैवश्रमिणः सर्वे गृहस्थे यान्ति संस्थितिम् ॥

"લક્ષ્ય ધર્મમાં તો એટલે સુધી કહેલું છે કે મનુષ્યયજ્ઞના કોઈ મહાન સમારમ્ભને માટે આવશ્યક હોય તો સાધુજન સંસારીયોમાં સંસારીવત્ એટલો કાળ આચરણ કરે અને કન્થાદિની ઉપેક્ષા કરે તો પણ ધર્મ્ય છે. કારણ न लिङ्ग धर्मकारणम्. સાધુજનનાં સર્વ ધર્મનું રહસ્ય જે નિષ્કામ પંચમહાયજ્ઞ તે તમને સ્પષ્ટ દર્શાવ્યા. સંસારી શાસ્ત્રમાં અગ્નિ વિનાનો યજ્ઞ નથી, પણ આપણામાં તો સાધુજન સંસારનો ત્યાગ કરી આ મઠમાં આવે તે પળથી જ સર્વ અગ્નિનો સમારોપ આત્મવસ્તુમાં જ કરે છે.

[૨]"आत्मन्यग्नीन् समारोप्य जुह्वीतात्मानमात्मना ॥

“અને લક્ષ્યધર્મસંગ્રહથી અને સર્વ શાસ્ત્રોથી પણ જે સાધુજનની બુદ્ધિ આગળ ચાલે તેને માટે તે એવો ઉત્તમોત્તમાધિકાર છે કે–

[૩]“संत्यज्य सर्वशास्त्राणि संत्यज्यामुं च संग्रहाम् ।
“ऋतपूतं मनःपूतं सत्यपूतं समाचरेत् ॥

  1. ૧.નદીએા અને નદો સર્વ જેમ સાગરમાં સંસ્થિતિ પામે છે તેમ સર્વે આશ્રમીઓ ગૃહસ્થાશ્રમીમાં સંસ્થિતિ પામે છે.
  2. ૨.યજ્ઞના અગ્નિએાનું પોતાના આત્મામાં સમારેાપણ કરી, આત્મા વડે આત્માનો હોમ કરવો.
  3. ૩.(આવા અધિકારીયે) સર્વ શાસ્ત્રોનો તો શું પણ આ લક્ષ્યધર્મસંગ્રહનો પણ્ ત્યાગ કરીને ઋતપૂત, મન:પૂત અને સત્યપૂત એમ ત્રણ ગળણે ગળેલું આચરણ આચરવું.