તેમનો સ્વર કુમુદસુંદરીના જેવો જ છે ! પણ ચન્દ્રાવલીમૈયાએ
દર્શાવેલા માર્ગ કુમુદસુંદરીનાથી ઉલટા છે. – તે તે માર્ગ સ્વીકારે એ
અશક્ય છે.
“પિતા મ્હારે માટે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિસૂચન[૧] છપાવે છે ! – પ્રમાદધન અને સૌભાગ્યદેવી ગયાં ! – સુરગ્રામના મ્હેતાજીએ વર્તમાનપત્રો વંચાવ્યાં ! મ્હારા દેશની રાજકીય વિપત્તિઓ તેણે મ્હારી પાસે ખડી કરી ! – મુંબાઈ ! ત્હારા યજ્ઞનો હું ઋણી છું -
- "જાવું છે જી ! જાવું છે ! જાવું છે જરુર !”
સુરગ્રામનાં મંદિરનાં દર્શન પુનઃ પ્રત્યક્ષ થયાં.
- “એક દિન પંખીસેં ઉડ જાવું ! ”
“પંખી ઝાડની એક ડાળથી બીજીએ ને બીજીથી ત્રીજીએ ઉડીને બેસે તેમજ મ્હેં કર્યું છે – ચિરંજીવશૃંગ ઉપર હું પક્ષી થઈ આવ્યો - પરમાત્મા ! મ્હારે અહીંથી કયાં ઉડવાનું છે ?”
થોડી વાર વિચારશૂન્ય મૌન ધર્યું. અંતે સુરગ્રામમાંનું પદ સાંભર્યું.
- “જલસુત વિલખ ભયે ! સુરતબીન જલસુત વિલખ ભયે !”
“રાત્રિના જલસુત! કુમુદ ! શું તું આમ વિલખ છે? અથવા રાણાએ મીરાંજીને માટે વિષ મોકલ્યું હતું તેમ મ્હેં ત્હારો ત્યાગ કરી પત્ર મોકલ્યો ને પ્રમાદને સોંપી – તે બે કામના બે પ્યાલામાં શું વિષ હતું? – ઉદાર કુમુદસુંદરી !– મ્હેં ઝેર મોકલ્યું પણ તમે શું કર્યું ? –
- “વીખના પ્યાલા રાણાજીએ મોકલ્યા; સાધુસંગત મીરાં અટકી !
- “હરિચરણામૃત કરી પી ગઈ મીરાં જેસી જાનત અમૃત ઘટકી !
“એ ગાનારીના ઉંડા હૃદયશલ્ય વચ્ચે અને ત્હારા હૃદયશલ્ય વચ્ચે કાંઈ ભેદ નથી | કુમુદ ! ત્હારું ઉદારચરિત ચન્દ્રાવલી જેવાં વિરક્ત સાધ્વીના હૃદયને કમ્પાવે તો તેમાં કાંઈ નવીનતા નથી.”
તેના કાનના પડદા સાથે બિન્દુમતીનો સ્વર ઝપટાયો.
- “વૃનદાવનમેં મીલ ગઈ મોહન,
- “છુપ રહી રાધે જ્યું પ્યારી !
- “ આવત મેરી ગલીયનમેં ગીરધારી !”
- ↑ ૧.ઝાહેર ખબર.