પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૨


“My lord ! આ તો તરંગશકરનું કાવ્ય - કુમુદને જ આપેલું તે કુમુદવિના બીજું કોણ ગાય ? પણ હું આ સ્થાને છું તે શું એને ખબર નહી હોય ?” સરસ્વતીચંદ્રના વિચાર ગાનની કડીએાએ અટકાવ્યા.

“દીવા જેવું પણે દેખાય,
“જવા ત્યાં મુજ મન લલચાય;
“ત્યાં તે ર્‌હેતા હશે કોક સંત,
“મ્હારા દુ:ખનો આણશે અંત.
“જોગીરાજ ! એ વાટ બતાવો;
“દયા એટલી મુજ પર લાવો.”

સર૦- “નક્કી ! આ સંબોધન મને તો નથીજ કર્યું ચાલો, હવે એ સંબોધનને ઉત્તર મળશે.”

સ્વર વાધ્યો.

“જોગી બેાલ્યા:“ બેટા, રખે જાતો,
“એણીપાસ રખે લલચાતો;
“એ તો ભૂતનો ભડકો જાણ,
“બોલાવે ને કરે પછી હાણ.
“ભુખ્યાંતરસ્યાંને આદર આપે,
“લુંખું સુકું મળે તે જમાડે,
“એવી આ છે ગુફા મુજ રંક;
“બેટા, તેમાં તું આવ નિઃશંક.
“ફળ ને વણખેડેલું ધાન,
“શય્યા કાજ કુંળાં ધાસપાન,
“રુડાં ઝરણનું નિર્મળ પાણી,
“સુખ, શાન્તિ, ને આનંદવાણી:–
“એવું અક્ષયપાત્ર છે અંહી,
“હરિ પ્રત્યક્ષ થાય છે અંહી.
“બેટા, એવા આશ્રમમાં તું આવ્યો,
“ગયો સમજ ચિન્તાતણો વારો.”

”હું ઇચ્છું છું કે હું તને એવો જ બોધ આપી શકું ! ” સરસ્વતીચન્દ્ર બોલ્યો; ગાનતો ચાલ્યું જ.