સરસ્વતીચંદ્ર મનમાં ગાજી ઉઠ્યો અને અધિકાર આપવા લાગ્યો:
“ના-ના-કુમુદ ! તું પવિત્ર છે તે હું જાણું છું - જગત ભલે બડાશો
મારતું કે તને સૌભાગ્યદેવીથી ઉતરતી ગણતું. પણ ત્હારે જે વિકટ
સૂક્ષ્મ પ્રસંગો આવી ગયા તેમાં પણ જય પામનારી સતી તો તું જ
છે ! અગ્નિમાં ચાલી છે તે તું ! પાપી તો હું જ છું કે જેણે તને અવદશામાં
આણી અને તેમાંથી છોડવવા હજી સુધી જેની છાતી ચાલતી
નથી ને આ સ્થાને આમ બાયલા પેઠે ઉભો રહ્યો છું !” મન આમ
ગજર્યું ત્યાં કાન તો સાંભળ્યા જ કરતા હતા.
- “ક્ષમા કરજો મને, યોગીરાજ,
- “કહી દઉં મ્હારાં વીતકની વાત.
- “શુણી અબલા તણા અપરાધ,
- “કૃપા કરજો, અહો કૃપાનાથ !”
સરસ્વતીચંદ્ર સ્વસ્થ પણ આતુર થઈ સાંભળવા સજ્જ થઈ ઉભો.
- “તમ દર્શનથી દુ:ખ ન્હાસે,
- “બોધ દ્યો ત્યાં ત્રિવિધ તાપ ભાગે.”
“આ ભાગ તો તરંગશકરનો રચેલો નથી ! કુમુદ ! ત્હારા હૃદયની વાત હવે ત્હેં ગાવા માંડી અને પવનના ઝપાટા આગળના દીવા પેઠે મ્હારું હૃદય હવે કંપવા લાગે છે ! કંપાવ, કુમુદ, એને કંપાવ ! હવે મ્હારા પ્રાયશ્ચિત્ત વિધિનો આરંભ થયો ! આરંભ પામેલું ગાન વાધ્યું.”
- “બોધની હું ન જો અધિકારી,
- “પ્રભુ, ક્ષમજો, પામર જીવ જાણી!”
આ શબ્દોએ સરસ્વતીચંદ્રનાં નેત્રમાં આંસુ આણ્યાં.
- "બોધ લેતાં ભુલી કે ઠગાઈ
- "બોધ લેતાં લેતાં હું ફસાઈ ”
આત્મદોષનો શોધક ઉદારચિન્તાથી સાંભળવા લાગ્યો.
- "બોધ લેતી લેતી હું ન જાગી,
- "બોધ દેનારથી ભુરકાઈ.
- "મને એવો મળ્યો એક જોગી,
- "પ્રીતિ ખોટી જાણી ખરી બોધી. ”