પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૧

તમે અશરણ નથી ! જે પ્રીતિયજ્ઞમાં હું તમારી સાથે સંધાયો છું - તે મ્હારામાં પણ જાગૃત જ રહ્યો છે. પ્રમાદધને તમારો ત્યાગ કર્યો અને તેનું આતિથેય કરવાનું હવે તમારે શિર રહ્યું નથી. હવે તો તમારે માટે એક જ આપણો યજ્ઞ બાકી રહ્યો છે - તેમાં તો કષ્ટસાધના કાંઈ નથી. મ્હેં તમારા શરીરનો ત્યાગ કર્યો હતો - હૃદયનો ત્યાગ પણ સુલભ થશે જાણ્યું તે – ખોટું પડ્યું – અને – ખોટું થયું !અને હવે એ સર્વ ત્યાગને સટે આપણું પુરાણ અદ્વૈત નવો અવતાર ધરે છે. કુમુદસુંદરી ! મૂર્છામાંથી જાગીને જુવો ! - "

“હવે આ ભેખ મ્હેં ધાર્યો,
“નવો રસધર્મ છે જાયો;
“જુઠા જગધર્મ દઉં તોડી
“કુમુદને કાજ, કર જોડી !
“પ્રમાદી વાયુએ તોડ્યું
“કુમુદને સ્થાનથી મોડ્યું !
“અતિથિશું ધર્મના બન્ધ
“અધર્મીયે કીધા બંધ.
“અતિથિ જો કરે ત્યાગ,
“કીયો કોનો જ યજમાન ?
“કુમુદિની મૂળથી ત્રુટી !
“ કૃતક[૧] જગ-ધર્મથી છુટી !

“પ્રિય કુમુદ ! ત્હારા અતિથિયે તેને ટાળી ને તારી ! મૂર્છાથી જાગ અને આ આપણો નવો અવતાર થયો તે જો !” એના મૂર્છાવશ મુખ સામું એ જોવા લાગ્યો ને એ જાગૃત હોય તેમ એને ક્‌હેવા લાગ્યો.“ પ્રિય કુમુદ ! આપણે હવે ક્યાં છીયે તે તો જો !"

“હવે ગિરિરાજ પર આવ્યાં,
“સુધર્મી સાધુને ભાવ્યાં;
“પ્રિયા ! ત્યજ સર્વ ભયને તું !
“પરાપ્રીતિ – યજ્ઞ રચને તું!”

આખા સુન્દર શરીર ઉપર ચન્દ્રનાં કિરણ, દૃષ્ટિ પેઠે, પડતાં હતાં, એને આશ્વાસન આપતાં હોય તેમ પ્રિયજનના હાથ પેઠે એના શરીરતલ ઉપર


  1. ૧. કૃત્રિમ, Conventional.