પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
“Oh sweet and bitter in a breath
“What whispers from thy lying lips ?”

“આમાં શોકની જીભને જુઠી ગણી.”

ચંદ્ર૦ - “પણ એને મૃત્યુના મન્દિરના ઘુમટમાં મીઠો ઉપદેશ કરનારી ગણી – અને સરસ્વતીચંદ્ર પણ –”

કુ૦ – “એમ જ ગણે છે એ વાત ખરી. હવે હું કહું, માયાની સૃષ્ટિના પર્વતો આ અંધકારમાં નાશ નથી પામતા, પણ એમના એમ ઉભા છતાં દેખાતા નથી અને દિવસે ન દેખાતા તારા રાત્રે દેખાય છે; તે દિવસે જુઠો અને રાત્રિયે જુઠી; પણ રાત્રે જે દેખાય છે તે વધારે ઉત્તમ છે, અને માટે જ લલચાઈને કહ્યું કે

“ઓ રજનિ ! ઘુંઘટ | ઉઘાડ ! ”

સુંદર૦ – “જો એતો ગીતાજીમાં કહ્યું છે કે સંસારીની રાત તે યોગીનો દિવસ, ને યોગીની રાત તે સંસારીનો દિવસ.

ચંદ્ર૦ -“કુસુમબ્હેન, તમારાં કાકી ક્‌હે છે તેમજ છે. ચારે પાસ કોલાહલ મચી ર્‌હે એ દિવસ અને આવી શાંતિ તે રાત્રિ – તે દિવસને ન દેખતાં આવી રાત્રિને દેખનાર યોગીઓ ત્રણ જાતના હોય છે. કનિષ્ટ જાતના યોગીમાં જગતના સંસ્કાર ર્‌હે છે, અને જયારે દિવસના અનેક કોલાહલમાં માણસોનાં મન વિક્ષેપ પામે છે ત્યારે આવા યોગીઓનાં મન અમુક સંસ્કારને જ જુવે છે અને ભોગવે છે, અને તેટલાજ સંસ્કાર ઉપર લગ્ન થયેલું ચિત્ત એ સંસ્કારના મોહની મદિરા પીને ઉન્મત્ત થઈ પોતાનું ગાન કર્યા કરે છે - આવી રાત્રિ તેના મદને વધારે છે; મદ કરાવે તે મદન. આવા યોગી, મદનતંત્રી વગાડતા, આવી રાત્રિમાં ગાયાં કરે છે.”

કુસુમ૦ - “બાબર પાદશાહ બાલક અવસ્થામાં દુ:ખી થયો અને કાકાઓએ એને ક્‌હાડી મુકયો ત્યારે પર્વત ઉર બેસી કવિતા ગાતો હતો અને તંત્રી વગાડતો હતો – તેની પેઠે જ આ ગાન ખરું કની ?”

ચંદ્ર – “એને કાંઈ મોહ ન હતો; પણ पीत्वा मोहमयी प्रमादमदिरामुन्मत्तभूत जगत् એવું તમે કાલ ભર્તૃહરિના શતકમાંથી ગાતાં હતાં તેના જેવો કોઈ મદ ચ્હડે અને –”

ગુણ – “એ એ આગળ જતાં શીખશે, બીજી જાતના યોગીની વાત ચલાવો.” “આગળ કેમ?” એમ બેાલવા જતી જતી કુસુમ અટકી, અને વિચાર કરી બોલી. બીજા યોગીની હકીકત ક્‌હો ત્યારે.