પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨


ચંદ્ર – “બીજી જાતના યોગીઓમાં બાબર પાદશાહ જેવા કવિલોક આવ્યા. આવી રાત્રિના દર્શનથી જ તેમનાં હૃદય દ્રવે છે અને તેમના મગજમાં વિચિત્ર સ્વપ્ન આવે છે અને તેવાં સ્વપ્ન પાછળ એ લોક દોડે છે. તેથી કહ્યું કે,

“ઉર ચિત્ર સ્વપ્ન ભણી ધાતુ.”

કુસુમ૦ - “વારુ, મધુસેવન કરનારાઓની બુદ્ધિ સતેજ થતી હશે ખરી ? માઘમાં આવ્યું છે કે. -

"मधुरया मधुबोधितमाधवी
"मधुसमृद्धिसमेधितमेघया॥

ચંદ્ર – “એ મેધા તે માત્ર મંદ ચ્હડાવે.”

કુસુમ – “હા,એમ તો ખરું.કારણ તરત જોડેનીજ લીટીમાં છે કે,

“मधुकराङगनया मुहुरुमन्द -
“भ्रमद्लौ मदलौल्यमुपाददे ॥

“આવી મેધાથી મદ થયો અને મદથી મધુકરી મધુકર પાસે ભમવા–” પોતે શું બોલે છે તેનું ભાન આવતાં મુગ્ધા શરમાઈ બોલતી બંધ પડી અને મનમાં સંસ્કૃત વિદ્યાને ગાળો દેવા લાગી. “બળ્યું, આ સંસ્કૃત ! બે માણસમાં બેલાતાં શરમાવે અને એનાથી અંજાઈએ તો કુમારાને પરણાવે.” મ્હોટે સાદે બોલી “વારુ, ત્રીજી જાતના યોગીની વાત ક્‌હો જોઈએ.”

“ત્રીજી જાતના યોગી એ રાત્રિનો ઘુંઘટ ઉઘાડે અને લક્ષ્મી આદિ ઢોંગ છોડી રાત્રિને જોવા નીકળી પડે તે.” ચંદ્રકાંત બેાલ્યો.

“સરસ્વતીચંદ્ર પેઠે ?” કુસુમે પુછયું.

ચંદ્ર૦ – “એ તો તમે જાણો.”

કુ૦ – “ઠીક, પણ હવે તો આ ચિત્રો નહી દેખાડું.”

ચંદ્ર૦ – “કેમ?”

કુ૦ – “આ પુરુષ અને સ્ત્રીને ઉંઘતાં કર્યાં છે તેની મુખમુદ્રા ફેરવવી પડશે.”

ચંદ્ર૦ – “શી રીતે ?”

કુ૦ – “અર્થ સમજ્યાં ત્યારે પોતાની ભુલ જાતે જણાઈ આ ચિત્ર ખોટાં પાડ્યાં છે. કેમ ખરાં કરવાં તેતો વિચારવું પડશે. પણ એક કવિતામાં બે જાતની આંખો કહી છે તેવી આ સ્ત્રી પુરૂષની આંખો કરવા જેવું છે.”

ચંદ્ર૦ – “શી કવિતા છે?"

કુ૦ – “સાંભળો.”