પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૮

આસ્વાદન કરે તો ભલે, પણ સુખની આશાથી ધર્મનો પરિભવ તેમણે કરવો પડે તો તો ગૃહનો ત્યાગ જ પ્રાપ્ત થાય છે. [૧]

કુમુદ૦– આપની મ્હારા ઉપરની પ્રીતિને લીધે મ્હારે માટે ધર્મના અત્યયથી કલંકિત થઈને પણ મ્હારું સુખ જોવા ઈચ્છો છો તો પિતા ઉપરની પ્રીતિ અધર્મથી કેમ ડરે છે?

સર૦– હું પિતાને માટે જે કંઈ કરું છું કે નથી કરતો તેમાં પ્રીતિ અપ્રીતિ કારણભૂત નથી. તેમજ તમારે માટે જે કરવા તત્પર છું તેમાં પણ કેવળ પ્રીતિ કારણભૂત નથી. ત્યાગકાળે જે જે કામ મ્હેં કર્યાં તેમાં પણ આદિકારણ પ્રીતિ - અપ્રીતિ ન હતાં. મ્હેં જે જે કર્યું છે કે કરવું અનુચિત ધાર્યું છે તે મ્હારી ધર્મબુદ્ધિના કારણથી કર્યું કે ન કર્યું સમજવું. આપ્તજનોની પ્રીતિને મ્હારો ગૃહત્યાગ પ્રિય ન હોય એ હું સમજતો હતો. પણ તેમની પ્રીતિના શુદ્ધ સ્વભાવની મ્હેં ચિકિત્સા કરી. ગૃહનો ત્યાગ ન કરવાનું સમજાવતાં ચંદ્રકાંતે ઘણાં કઠણ વચન મને કહ્યાં હતાં. તે એના મનથી ન્યાય્ય હતાં અને મિત્રપ્રીતિના ઉદ્ગારરૂપ હતાં અને તેને સત્ય લાગેલા ધર્મરૂપ હતાં. આ વચનથી મિત્રપ્રતિની મ્હારી પ્રીતિ વધી, પણ મ્હારો ધર્મ તો મ્હારા હૃદયપાવકમાં પાવન થાય – મ્હારો પોતાનો મનઃપૂત થાય - તે જ મ્હારે પાળવાને હતો તે મ્હેં પાળ્યો. મ્હારા ગૃહત્યાગ કરતાં ગૃહવાસંમાં ચંદ્રકાંત જેવા આપ્તજનો શાથી કલ્યાણ માને છે? શું ગૃહત્યાગમાં કંઈ પાપ છે કે તેમાંથી મને નિવૃત્ત કરવા તે ઇચ્છે છે અને એ ઇચ્છા મ્હારાથી ન પુરાતાં શોક કરે છે ?[૨] કોઈ મરી ગયો હોય કે મરવાનો થયો હોય અથવા ધર્મથી ભ્રષ્ટ થયો હોય ને આપ્તજન રોવા બેસે તો તે સમજાય પણ હું જીવતે મ્હારે માટે ચંદ્રકાન્ત અને પિતા આટલું દુઃખ ધરશે એ મ્હેં જાણ્યું પણ મ્હારા મનને પુછ્‌યું કે એ દુઃખ ધરશે


  1. यदि धर्ममुपैति नास्ति गेहमथ गेहाभिमुखः कुतोऽस्य धर्मः ।
    प्रशमैकरसो हि धर्ममार्गो गृहसिद्धिश्च पराक्रमक्रमेण ॥
    इति धर्मविरोधदूषितत्वाद्गृहवासं क इवात्मवान् भजेत ।
    परिभूय सुखाशया हि धर्मं नियमो नास्ति सुखोदयप्रसिद्धौ ॥ (જાતકમાલા)
  2. वनाद् गृहं श्रेय इदं त्वमीषां स्वस्थेषु चित्तेषु कथं नु रुढम् ।
    यन्निर्विशङ्का वनसंश्रायान्मां पापप्रसङ्गादिव वारयन्ति ॥
    मृतो मरिष्यन्नपि वा मनुष्यश्च्युतश्च धर्मादिति रोदितव्यम् ।
    कया नु बुद्ध्या वनवासकामं मामेव जीवन्तममी रुदन्ति॥ (જાતકમાલા)