પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૦

-અતિથિયોના યજમાન ધર્મમાંથી – અને તેની સાથે પ્રીતિયોગથી – છુટી એકલો ભમીશ એવો સંકલ્પ કર્યો. મ્હારા ત્યાગથી ખિન્ન થનારનો ખેદ આવા માર્ગથી ઓછો થવો ન થવો તે તેમના હાથમાં ગણ્યું અને પોતાના હાથમાંનું ... ... ફળ તેમણે ... ... ખાવું કે ન ખાવું તે તેમના પોતાના અધિકારની વાત ગણી, તેમની પ્રીતિની તૃપ્તિ કે તપ્તિ કરવામાં મ્હારા કરતાં તેમનો પોતાનો અધિકાર શ્રેષ્ઠ અને ઉચિત ગણી, મ્હેં નિર્ણય કર્યો કે તેઓ, મ્હારું માન તેમના પોતાના સમાન ગણી, શોકનું જે ઐાષધ તેમના પોતાના હાથમાં હું દેખું છું તે છતાં તેનો સ્વીકાર કરતા નથી તો તેમની પ્રીતિને, તેમના શોકને, અને એ શોકથી તેમને જે ઇષ્ટાનિષ્ટ સુખદુ:ખરૂપ ફલ થાય તેમને, નટ લોકના ખેલ જેવાં, મોહમય આવરણ જેવાં, અને જાગતાં છતાં ઉંઘું છું ક્‌હેનાર બાળકની શઠતા જેવાં, અ બુદ્ધ અને પામર ગણી [૧], તેની તૃપ્તિ મ્હારા યજ્ઞોમાં અવિધેય ગણી, મ્હેં આ શરીરનાં સર્વ સંબંધીયોને, લક્ષ્મીને, અને ગૃહનો પરમધર્મરૂપ ત્યાગ કર્યો, અને કર્યો તે કર્યો. મ્હેં પ્રીતિઅપ્રીતિથી કાંઈ કર્યું નથી.

કુમુદ૦– સર્વની પ્રીતિની એવી ગણના કરી તો મ્હારી પ્રીતિની જુદી ગણના કેમ ના કરી ?

સર૦– મ્હેં તમને કહ્યું કે પ્રીતિને બળે કોઈ મ્હારી પાછળ નીકળવાનો વિચાર કરે તો જ તેની પ્રીતિને મ્હારી પાસે મ્હારા ત્યાગનો વિચાર કરાવવા જેવી મ્હેં ગણી હતી. તમે જાતે સ્વતંત્ર ન હતાં, તમારું પ્રારબ્ધ તમારાં માતાપિતાના હાથમાં દીઠું, તેમણે મને લક્ષ્મીમાન્ પિતાનો ગૃહસ્થ પુત્ર ગણી તમારું વાગ્દાન કર્યું હોવું જોઈએ એમ હું ધાર્યું,


  1. दृष्टावदानो व्यसनोदयेषु बाष्पोद्गमान्मूर्त इवोपलब्ध।
    संरूढमूलोऽपि सुहृत्स्वभावः शाठ्यं प्रयात्यत्र विनानुवृत्त्या॥
    निवारणार्थानि सगद्गदानि वाक्यानि साश्रूणि च लोचनानि।
    प्रणामलोलानि शिरांसि चैषां मानं समानस्य यथा करोति॥
    स्नेहस्तथैवार्हति कर्तुमेषां श्लाध्यामनुप्रव्रजनेऽपि बुद्धिम्।
    मा भून्नटानामिव वृत्तमेतद् व्रीडाकरं सज्जनमानसानाम्॥
    परत्र चैवेह च दुःखहेतून्कामान्विहातुं न समुत्सहन्ते।
    तपोवनं तद्विपरीतमेते त्यजन्ति मां चाद्य धिगस्तु मोहम्॥
    यैर्विप्रलब्धाः सुहृदो ममैते न यान्ति शान्तिं निखिलाश्च लोकाः।
    तपोवनोपार्जितसत्प्रभावस्तानेव दोषान्प्रसभं निहन्मि॥
    जातकमाला।