પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૨

“ કુમુદસુન્દરી, સરસ્વતીચંદ્ર, હવે મ્હારે જવાની વેળા આવી. તમારે કંઈ પુછવું છે કે માગવું છે ?” સ્ફાટિક મૂર્તિ બોલી.

સર૦- દેવી ! આ દેશમાં અમે ભોમીયાં નથી અને ક્યાં છીયે ને ક્યાં જઈશું તે જાણતાં નથી, માટે તેનું કંઈ જ્ઞાન આપવાની કૃપા કરશો.

સૌ૦– સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના પ્રદેશમાં મનુષ્યથી ન જોવાતા સિદ્ધ લોકનો પ્રદેશ છે તેના પિતામહનગરની નીચે તમે ઉભાં છો. એ નગર ઉડતા દ્વીપ પેઠે તમારા ઉપર ભમે છે તે મ્હારથી દેખાય છે ને તમને દેખાવાને વાર છે, તમારાં પગલાં સાંભળતાં હું તમારી પાસે આવી તેમ અન્ય સિદ્ધ જન તમારાં પગલાં સાંભળી તમારી પાસે અાવશે ને તમને યોગ્ય સાધન ને યોગ્ય દૃષ્ટિ આપશે.

સર૦- બીજું કોણ આવશે ?

સૈા૦- જે આવશે તેને તમારું હૃદય જ ઓળખી લેશે, હું એટલું જાણું છું કે મ્હારી પાછળ તમારી માતા ચન્દ્રલક્ષ્મી હતાં અને મ્હારાં કરતાં સિદ્ધ ભૂમિમાં તેમનો નિવાસ વધારે થયલો છે, પૃથ્વી ઉપર તેમનું તપ મ્હારા કરતાં વિશેષ થયલું છે, ને તેમની સિદ્ધિ પણ પ્રમાણમાં વિશેષ છે. તમારે માટે તેમણે આરંભેલો યજ્ઞ પૂર્ણ થયો નથી માટે તે મળશે.

સર૦– તેમનું તપ તમારા કરતાં વિશેષ શી રીતે ?

સૌ૦– મ્હારે મ્હારા સ્વામી સાથે કુમારિકાવસ્થામાંથીજ અદ્વૈતયોગ થયો હતો અને તેનું કલ્યાણફળ મ્હેં પ્રથમથીજ ચાખવા માંડ્યું. આ સૂક્ષ્મ રસનો અમૃતલેપ મ્હારા ઉપર મૂળથી રેડાયો હતો, પણ ચન્દ્રલક્ષ્મીનો અદ્વૈતયોગ ઘણા દુઃખને અંતે રચાયો હતો અને તેમ થતાં ધણીક વિષમય જ્વાલાઓ વચ્ચે તેમને તપ કરવું પડ્યું હતું, એ યોગ પણ મરણકાળે શિથિલ થયો અને તમારા જેવા તેનાં પુત્રને અપરમાતા મળશે એવું ભય જીવતાં છતાં તેમણે જોયું હતું, અને માતાનું હૃદય કમ્પ્યું હતું. તે છતાં તેમણે તમારાં પિતાને માટે દુષ્ટ વિચાર કર્યો નથી, તેમને કઠોર શબ્દ કહ્યા નથી. તેમના ઉપર અમૃત–પ્રીતિ રાખી છે, અને તેમના ઉપર જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી, તેમને ફરી લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી સંમતિ આપી, આનંદથી દેહ છોડ્યો છે. આવું તપ તેમને કરવું પડ્યું છે અને જે મૃત્યુલોકમાં વધારે તપ કરે છે તેની આ લોકમાં વધારે સિદ્ધિ થાય છે. સરસ્વતીચન્દ્ર, તમારા ચરણ જાતે આ દેશમાં તમને પવિત્ર