કુમુદ-હૃદયવલ્લભ સર્વ ભારતવર્ષમાં એક જ - નહી મન્દ, નહી
ઉગ્ર, એવો – રમણીય પ્રકાશ દેખું છું. ન્હાનાં ગામડાંમાં ને મ્હોટાં નગરોમાં
આનન્દનાં ગીત સાંભળું છું – સર્વત્ર સાંભળું છું, અરણ્યોમાં, પર્વત ઉપર,
નદીતીરે ને સમુદ્રતીરે, સાધુજનોની નિર્ભય નિરંકુશ કલ્યાણ ચર્યા, જ્યાં
જોઉં છું ત્યાં, હૃદયને પ્રફુલ્લ કરે છે. મનુષ્યસૃષ્ટિના સ્થૂલ દેહમાં આરોગ્ય,
વીર્ય, સુન્દરતા, ને સુઘડતા જોઉં છું. આજના આપણા જાગૃત લોક
તે પ્રમાણમાં વામન, ક્ષીણ, ને રોગી છે; બાળક જેવા ઉપરના રાફડાઓમાં
દેખાય છે; બુદ્ધિમાં, વિદ્યામાં, સાધુતામાં, પ્રીતિમાં અને સર્વ
સદ્વસ્તુમાં પણ આ નીચેના પ્રતિબિમ્બિત લોકમાં ને આપણા હાલના
લોકમાં એવાજ ફેર છે. સ્વામિનાથ ! ખરી મહાયાત્રાઓ તો આ લોક
જ કરે છે. દક્ષિણમાં લંકા, જાવા, ને સુમાત્રા; ઉત્તરમાં ત્રિવિષ્ટપ (તીબેટ),
ચીન, કન્દહાર, તાતાર, ને રોમ; પશ્ચિમમાં મિસરદેશ, પૂર્વમાં બ્રહ્મદેશ ને સીયામ,
એ સર્વ દેશો સુધી પૃથ્વી ઉપર ને સમુદ્ર ઉપર ભારતવર્ષના
પંડિતો ને વ્યાપારીયો દોડાદોડ કરી રહ્યા છે ને એમના રથ ને એમનાં
વ્હાણ હું અંહીથી સંખ્યાબંધ જતાં આવતાં જોઉં છું ! ઓ મ્હારા વ્હાલા !
આ લોકની છાતીઓ કેવી ચાલે છે ? અને એમને ઘેર તો કંઈક જુદી જ
સૃષ્ટિ દેખાય છે, ચાંદીના હીંદોળા ઉપર સંવનનથી પરણેલાં દંપતી ગામે
ગામ ને દેશે દેશ દેખાય છે કામદેવના બાણુનો ટંકાર, કામદેવના જય અને
પરાજય, વૈભવ, સુખ, સમૃદ્ધિ, ભોગ, અને ત્યાગ : સર્વે દર્શન આ પ્રદેશમાં
મનભર મનહર થાય છે. માતાપિતાની સેવા કરવામાં પરિશીલિત દમ્પતીઓ
સ્થાને સ્થાને અદ્વૈતાભિલાષથી પ્રવૃત્ત થાય છે; ને માતાપિતા એ દમ્પતીઓની
સેવાથી તૃપ્ત થાય છે પણ એ તૃપ્તિના કરતાં, પુત્રવધૂના અર્થ,
કામ, ને સ્નેહ જોવામાં ને વધારવામાં ને પોતાનાથી સ્વતંત્ર થતાં જોવામાં
વધારે આનન્દ માને છે. કોઈ કુટુમ્બમાં ક્લેશ દેખાતો નથી, સ્થાને સ્થાને
અનાથ લોકની સેવા થાય છે. આ લોક દ્રવ્ય કમાતાં થાકે છે પણ તેને
પરમાર્થમાં વ્યય કરતાં થાકતા નથી. સ્થળે સ્થળે લોકનાં ટોળાં લોકની ચિન્તા
કરી રાજાને સ્વસ્થ રાખે છે ને રાજાઓ પ્રજાનાં અનુરગંઞ્જનમાં જ તૃપ્તિ
માને છે. ઋષિલોક અનેક વિધાએ સાધે છે, અનેક શાસ્ત્રાનાં લક્ષ્ય ઉપર
દૃષ્ટિ કરી રહ્યા છે, શાસ્ત્રોની પ્રવૃત્તિ લોકસંઘના ઐહિક ને આમુત્રિક કલ્યાણ
પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૮૬
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.