વાણી પ્રકાશમય જન્તુઓમાં ફરી વળતી હતી. આ કાળની વાણીનો જડ રાફડાઓમાં પડઘો પણ નથી થતો.
કુમુદ૦– હવે કેઈ શક્તિ તમારી પાસે હોય તો કામ લાગે એવી છે?
સર૦– વિદ્યા, સાધુતા, અને લક્ષ્મી એ ત્રણ શક્તિયો જોઈએ તેમાં ત્રીજી નથી ને ચોથી તમારા હૃદયમાં છે તે જાણો છો.
કુમુદ૦– ત્રીજી ચોથી ન હોય તો ન જ ચાલે?
સર૦– સોમરસનું પાન જે સુઝાડે તે ખરું.
કુમુદ૦- કેવા પ્રકારનો સોમ ?
સર૦– દેશયજ્ઞમાં દેશપ્રીતિ એ જ સોમરસ.
કુમુદ૦– તે ક્યારે સુઝાડશે !
સર૦– એ રસથી આ હૃદયમાં સમુદ્રમન્થન થઈ ર્હેશે ત્યારે.
કુમુદ૦– આજ આપણે વિકાર વગર ફલાહાર લેઈ લીધો.
સર૦– દેશની પ્રીતિમાં વ્યક્તિની સ્થૂલ પ્રીતિ પેલા રાફડામાંના ફુહાડાની દશાને પામી.
કુમુદ૦- હું ત્યારે તમારા આ દેશપ્રીતિના નવા રાફડાનું પોષણ્ કરીશ ને તેના આ કુહાડાને તેમાં ડુબવા દેઈશ.
સર૦- મ્હેં તમને કહ્યું હતું કે તમે જે કંઈ કરશો તે શુદ્ધ અને સુન્દર્ જ હશે.
કુમુદ૦- હું તો આપની પાસે રહી શકવાના મ્હારા લોભી સ્વાર્થને માટે આમ કરવાની છું.
સર૦- સૂક્ષ્મ સુન્દર વાસનાઓમાંથી પારકાંનું પણ કલ્યાણ થવા પામે છે તેનું આ દૃષ્ટાંત.
કુમુદ૦- સૂક્ષ્મ કે સ્થૂલ સર્વ વાસનાઓની વાત જ ન કરવી; 'સ્વાર્થ' શબ્દ કરતાં 'વાસના' શબ્દ વધારે સૂચક અને ઉદ્દીપક છે.
સર૦– એમ લાગે છે.
કુમુદ૦- એ વિક્ષેપશક્તિનો જ વિક્ષેપ કરવાનો માર્ગ એ કે મ્હારે હવે જવું અને આપે આપનો લેખ હાથમાં લેવો.
સર૦- તમે કયારે આવશો ?
કુમુદ૦- સાધુજનો પ્રસાદ તૈયાર કરે છે તેમાં હું સહાયભૂત થઈશ ને સાયંકાળે આવીશ.