પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૫


નકુલનો સ્વર બન્ધ પડ્યો, ને છાયા આગળ ચાલી. તેની સાથે પવનના ઝપાટા આવવા લાગ્યા ને વારણાવતીમાંના લાક્ષાગૃહમાંથી ચાર ભાઈઓને અને પાંચમી કુન્તીને ખભે લઈ ભીમસેન પ્રાચીન કાળમાં દોડ્યો હતો ત્યારે જંઘાના વેગથી વાયુ જાતે ઝપટાતો તેવું ચારે પાસ અત્યારે થતું હોય તેમ લાગ્યું અને પાઞ્ચાલીનું ચિત્ત પ્રથમ આશાને અનુભવવા લાગ્યું. જોતા જોતામાં વેગવાળા પવનની ચીસો પેઠે ભીમસેનનો સ્વર આકાશમાં ગર્જવા લાગ્યો; ને એની પ્રચણ્ડ છાયા, સાગરના ત્રણે તીરથી, વાદળાં પેઠે, આવવા લાગી ને પાઞ્ચાલીના શરીરને પોતાના વીજળી જેવા તેજથી ન્હવરાવી છેક ક્રૌઞ્ચરંધ્ર સુધી વ્યાપીને ઉભી રહી ત્યારે જ એની ગર્જનાના અક્ષર સ્પષ્ટ સમજાવા માંડ્યા.

“પાઞ્ચાલી ! ત્હારી પ્રજાના હાથમાંથી શસ્ત્ર ગયાં છે તેથી તું બ્હીશ નહીં ! તું જુવે છે કે અમે બધા ભાઈઓની પ્રવૃત્તિને પેલો અશ્વત્થામા નિષ્ફળ કરે છે ને જે શસ્ત્ર ત્હારા શત્રુઓએ સામાં પ્રહરવાં જોઈએ તે અશ્વત્થામાની પ્રેરણાથી અમારા સામાં જ ઉપડે છે ! બાળક જ્યારે પોતાના જ પેટમાં તરવાર ખોસે ત્યારે તે લઈ લેવા જેવી નથી ? સત્ય છે કે કપિલોકે પોતાના જ કલ્યાણને માટે ત્હારાં બાળકના હાથમાંથી તરવારો લેઈ લીધી છે, પણ એ કપિલોકને આપણા ધનુર્ધર અર્જુનના રથઉપર ધ્વજાઓને અને ઘોડાની લગામોને બેને ઝાલવાને પરમાત્માએ બેસાડ્યા છે ને આપણું કલ્યાણ તેના કલ્યાણમાં જ રાખ્યું છે તે દુષ્ટ અને ગાંડા અશ્વત્થામાના હાથમાંથી આ શસ્ત્ર લેઈ લીધાં સમજજે ને મિથ્થા શોક ન કરીશ ! આજ જે અવિશ્વાસનો વા વાય છે તે કાળે ત્હારી પ્રજાના હાથમાં શસ્ત્ર નથી તેમાં જ ત્હારું કલ્યાણ કેમ ન હોય ? આજ મ્હોટાં મસ્ત રાજ્યોની જાદવાસ્થળી થવાનો સંભવ છે ને સર્વ સુરાપાન કરનાર યાદવો લ્હડી મરશે તે કાળે સુરાનો મદ ચ્હડાવનાર શસ્ત્ર ત્હારી પ્રજાના હાથમાં નથી ને એ સુરાપાનમાંથી અને તેનાં ક્રૂર ફળમાંથી તને ને તેમને બચાવવાને માટે જ પરમાત્માએ આ યોગ કેમ ન આણ્યો હોય ? અને જ્યારે કપિલોકને પોતાને ત્હારા બળનો ખપ પડશે ત્યારે પણ એ બળનું સાધન આપ્યા વિના બેસી રહે એવા તેઓ મૂર્ખ નથી. પાઞ્ચાલી ! જે કલ્યાણકારક વાયુનો હું પુત્ર છું તે જ વાયુનો હનૂમાન પુત્ર છે અને તને વેદના ક્યાં ક્યાં થાય છે તે તે જાણવાને ને ત્હારા શત્રુઓની આશા નિષ્ફળ કરવાને હનૂમાન જાગે છે તેને તું મ્હારો બંધુ જ ગણજે ! રામચંદ્રની સેનામાં કપિ ને રીંછ બે હતાં તે આજ