"આજ સુધી મ્હારી પ્રીતિ સ્વાર્થી હતી. ભોગમાત્રમાં સ્વાર્થ છે ને
ભોગની તૃષ્ણાથી થનારી પ્રીતિ સ્વાર્થની જ પ્રીતિ છે: યૌવન થઈ ર્હેતાં
એ પ્રીતિનો નાશ થાય છે. મ્હારી પ્રીતિને હવે શારીરક ભોગની વાસના
નથી. આ પ્રિયજનનું કલ્યાણ જોવું, એને હાથે લોકનું કલ્યાણ થતું જોવું
– એ જ હવે મ્હારી વાસના છે. પાઞ્ચાલીદેવીના માથા આગળ
કુન્તીમાતા બેઠાં હતાં તેમ આ મંગળ-મૂર્તિના શિરને લેઈ હું બેઠી છું - તે
એમના મહાપ્રયાણમાં એમને વિશ્રાન્તિ આપવાને જીવી છું ને જીવીશ !
મન્મથ ! તું હવે બે જણનાં ઉરમાંથી ભસ્મસાત્ થયો છે. પત્નીનું
અર્ધાંગનાસ્વરૂપ ઘણે પ્રકારે સધાય છે. જે મહાન્ કાર્ય એમને આરંભવું
છે તેમાં હું એમની મન્ત્રી– મન્ત્રિણી – થઈશ, એમનાં સાધનમાં દાસી
થઈશ, અનેક ક્લેશ ભરેલી એમની લોકયાત્રામાં એમના મનને અનુકૂલ
થઈ એમની વિશ્રાન્તિનું સ્થાન થઈશ, અપરિચિત પ્રયાસથી એ ગભરાયા
હશે ત્યારે કુન્તીમાતા જેવી થઈ ક્ષમા અને ધીરતા એમની પાસે
રખાવીશ, એમના ગૃહસમ્ભારમાં ભોજનાદિ સર્વ પ્રસંગોમાં એમની
વેદીને પુષ્ટ કરવામાં માતા વિનાના આ બાળકની માતા થઈશ.
મ્હારા ગુણથી એમના કુલનો ઉદ્ધાર કરીશ,– સ્ત્રીએ કરવાનાં એ સર્વ
કાર્ય કરીશ[૧] ! એ સર્વ વાતમાં એમની સ્ત્રી છું તે થઈશ. માત્ર શયનકાળે
રમ્ભા થવાનો નિષેધ છે, ચન્દ્રાવલીની પેઠે તે નિષેધ પાળીશ, ને
એટલી વાતમાં મ્હારા એમના દમ્પતીધર્મની કળા ન્યૂન ર્હેશે – તે પણ
એમણે દર્શાવેલા બોધથી એમની સાથેના જ અદ્વૈતના બળથી – તેમાં
દોષ નથી – ગુણ નથી. આખા દેશને એમણે પોતાનું કુળ કરી લીધું છે
ને તેનો ઉદ્ધાર કરવા ઇચ્છે છે તેમાં હું એમની આમ ધર્મપત્ની થઈશ
ને સ્થૂલ ભાગમાં વિરક્ત રહીશ ! પછી સંસાર મ્હારો કે એમનો શો
દોષ ક્હાડશે ? ને મ્હારામાં દોષ ન છતાં સંસાર દોષ દેખશે તે દેખો.
- "अपापेऽहं कुल जाता माये पापं न विद्यते ।
- यदि सम्भाव्यते पापमपापिन्या हि किं मया॥[૨]
“આ મહાત્માને પ્રસંગે રંક કુમુદને આજ આટલું મને બળ આપ્યું છે. કુમુદ ! ત્હારામાં કાંઈ સત્વ નથી, સુન્દરતા નથી, કે પવિત્રતા