પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨૯

મ્હારા પ્રિયતમ પ્રિય ! આપની જે કુમુદ સ્વભાવે રંક, અજ્ઞાની, ને લજજાશીલ છે તે આ સ્થાનનાં કોઈ સત્વોને બળે આજ આપની પાસે બલવતી, પ્રબુદ્ધ, અને ધૃષ્ટ થાય છે![૧]

સર૦– અવશ્ય આ સ્થાનને અને થયેલાં સ્વપ્નોનો પ્રભાવ તમને આ નવી પ્રકૃતિ આપે છે ! અથવા સિદ્ધાંગનાઓએ સ્વપ્નમાં આપેલા અદ્વૈત-વસ્ત્રના છેડા તમને આ સૂક્ષ્મ પ્રીતિની વિકાસ-અવસ્થાનો અનુભવ આજના પરિપાક પામેલા જાગૃતમાં આપે છે !

કુમુદ૦– જે હો તે હો ! આપ હવે આપના મનોરથ મને કહી દ્યો કે એ મનોરથની ધરીએ જોડવાના બે અશ્વને સ્થાને આપણે બે તરત જોડાઈ જઈએ. આપના હૃદયમાં મ્હારું હૃદય પ્રવેશ કરે છે તેને માટે દ્વાર ઉઘાડાં મુકો !

સર૦– મધુરી પ્રિયા ! એમ જ છે તો સાંભળો. મ્હારી જનની જેને આપણે સિદ્ધરૂપિણી જોઈ તેની પાસેથી અને મ્હારાં પિતામહી પાસેથી મને મળેલું દ્રવ્ય હું મુંબાઈ છોડતી વેળા ચંદ્રકાંતને આપતો આવેલો છું. એ તેમનું શુદ્ધ સ્ત્રીધન તેમના દાયાર્દ[૨]રૂપે હું પામેલો છું. કુમુદની સુન્દર મૂલ્યવતી છબી એને માટે કલ્પેલા રંગભવનમાં રાખી અને એને આપવાની મુદ્રા વિશેષ વ્યય કરી તૈયાર કરાવી તે આ દ્રવ્યના પ્રતાપથી એ છબી મુંબઈમાં રહી, અને તે પ્રતિકૃતિની પ્રકૃતિરૂપ કુમુદને જ આજ હું આમ નવીનરૂપે પામું છું. એ તને આપવાની મુદ્રા સુવર્ણપુરથી નીકળ્યા પછી એક દુ:ખી વણિકને દ્રવ્યવાન કરવાને મ્હેં પ્હેરાવી દીધી છે અને કુમુદને માટે આ સિદ્ધાંગનારૂપ થયલી શ્વશુર–જનનીએ આપેલી ચિન્તામણિ મુદ્રા જ તેમની પૌત્રીને આપવાને મ્હારી પાસે શેષ રહી છે.



  1. १. अन्यदाभूषणं पुंसां क्षमा लज्जेय योषिताम्
    पराक्रमः परिभवे वैयास्यं सुरतेष्विव ॥ માઘ.
  2. ૨. વારસ.