પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૪

માટે બસ નથી. માટે આપણા દેશમાં સમર્થ સ્ત્રીયો થાય ત્યાં સુધી ઇંગ્રેજોની કુલીન સ્ત્રીયોને સારા પગાર આપી આપણી આવી સ્ત્રીયોમાં જતી આવતી ને વાર્તાથી ને સહવાસથી ઉચ્ચ જીવન આપતી કરીશું. આપણી સ્ત્રીયોને ઘેર બેઠે આમ ગંગા પ્રાપ્ત કરાવીશું ને એ સ્ત્રીયોને પણ ધીમે ધીમે ગૃહકાર્યમાંથી મુક્ત કરી બહાર ક્‌હાડીશું ને પરદેશની ને આપણા દેશની પંડિત સ્ત્રીયોને એકઠી કરવાનાં ને બોધ અને રસ આપવાનાં સ્થાન રચીશું. આપણી વિધવાઓને આવા નવા ઉપદેશક ઉદ્યોગને માટે પાળી,પાપી, શક્તિમતી પરિવ્રાજિકાઓ કરીશું. આ વાડીમાં કાળક્રમે આપણી બાળકીયો ઉત્સાહ માનતાં શીખશે ને તે બાળકીયો નવા યુગની તરુણીયો થઈ જાતે જ આ સમારંભનો ભાર ઉપાડી લેતાં શીખશે. કુમુદ! આ કાર્યમાં ત્હારા વિના હું કાંઈ કરી શકું એમ નથી. સ્ત્રીયોમાં આવા કાર્યને અર્થે પણ પુરુષ ભળે તો લોક અનાચાર ગણે અને તેની સાથે જ એ સમારમ્ભ ઉપર અશ્વત્ત્થામાનો ભાર ઉછળી પડે ને સર્વ વાત ભાગી જાય.

કુમુદ૦– આ સ્થાનની સાધ્વીઓ તેમાં ન ભળે ?

સર૦– સંસારને ભ્રષ્ટ ગણી તેઓ તેનાથી દૂર રહે છે ને તેનો સંસર્ગ તેઓ ઇચ્છતી નથી. આ વિચાર કંઈ ખોટો છે ? આપણું સ્થૂલ વરણવિધાન સંસારમાં પુનર્લગ્ન ગણાય ને તેની સાથે જ આપણો પોણો સમારમ્ભ ભાગી નાંખવા જેવી આપણી અપકીર્તિ થાય – ને તેને સટે સાધુઓ તો આપણા મનઃસંયોગને જ લગ્નરૂપ ગણે છે. એ સાધુઓથી તો સંસાર દૂર ર્‌હે તે જ સારો ! નીકર શંકાપુરીએ બિન્દુમતી ઉપર દૃષ્ટિ કરી ને આપણી ગણના કરી તેવી દૃષ્ટિ ને તેવી ગણનાનાં પાત્ર આ સાધુજન થાય તો અનેક યુગોના કાલવિવર્ત વચ્ચે અખંડ રહેલો આટલો દીપ હોલાઈ જાય ને તે મહાઅનર્થ થાય. માટે જ મ્હેં આપણાં જીવનની વ્યવસ્થા કલ્પી છે. વળી જુવો. આ સમારમ્ભને માટે આપણા શાસ્ત્રીપુરાણીઓને આપણે સરકારોથી અને દ્રવ્યથી સંભૃત કરીશું અને ઘેરેઘેર તેમની દ્વારા આર્ય સંસ્કારોને પ્રવર્તાવીશું. પાશ્વાત્ય દેશની કુલીન વિદુષી સ્ત્રીયોના અને આ દેશના શાસ્ત્રીપુરાણીયોના, જળ અને અગ્નિ પેઠે અંતરપટથી સહવાસ પામતા, સંસ્કાર આપણાં કુટુમ્બોની આગગાડીઓને નવી સંગત ગતિ આપશે. આપણે આવાં એન્જીન આવી ગાડીઓમાં જોડીશું ને સડકો ને સ્ટેશનો બાંધી આપીશું. આપણાં કુટુમ્બો આ સડકો ઉપર થઈને નવા નવા જ્ઞાન–પ્રદેશોમાં પ્રવાસ કરશે, નવી કલાઓ પામશે, અને નવી સમૃદ્ધિઓ પામશે, જે કથાપુરાણો ઉપર