પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૪


ગુણ૦–એમ હો, તો પણ તે આપને તો કામ લાગે એવી નથી.

વિદ્યા૦– તરવાર યુદ્ધમાં કામ લાગે ને ત્હારા જેવીની વિધા અને બુદ્ધિ આવે કાળે કામ લાગે. ગુણીયલ ! જે કાર્યથી મ્હારે મણિરાજ મહારાજનું પ્રધાનપદ છોડવાનો વારો આવે છે તે કાર્યના વિચારમાં - પ્રધાનપદ છોડી માત્ર સામાન્ય મનુષ્ય થઈ ત્હારા આશ્રય ઉપર જ આધાર રાખવાનો કાળ આવે છે તેવા પ્રસંગમાં – મ્હારી ગુણીયલની બુદ્ધિ અને વિદ્યા મને કામમાં નહી લાગે ત્યારે વિદ્યાચતુરનું પોતાનું માણસ બીજું કોઈ રહ્યું નહી.

ગુણ૦– સ્ત્રીની બુદ્ધિ પગની પ્હાનીએ. મહાકાર્યમાં આપે સ્ત્રીની બુદ્ધિએ ચાલવું ઘટતું નથી.

વિદ્યા૦- લોક તેમ માને છે, પણ આપણાં હૃદય જુદી બુદ્ધિથી સંધાયાં છે તેને તોડવાને શું મારી ગુણીયલનું કાળજું કહ્યું કરે એમ છે? ગુણીયલ ! મ્હારા કુટુંબમાં જ્યારે અનેકધા ક્લેશ અને દુઃખ હતાં ને મ્હારી પેટીમાં જ્યારે પાઈની છત ન હતી ત્યારે ગુણીયલની ઉદાર બુદ્ધિએ મ્હારી અને મ્હારા કુટુંબની સંભાળ લીધી છે ને મને આ મહાન્ પદને પ્હોચવાને સમર્થ કર્યો છે ! તે દિવસ તું મ્હારી હતી ને હું ત્હારો હતો. આજ શું તે સંબંધ મટી ગયો ? ને તું મારી હવે નહી ?

ગુણસુન્દરી વિધાચતુરને ખભે માથું મુકી રોઈ પડી ને રોતી રોતી ક્‌હેવા લાગી.

“પ્રાણનાથ ! ક્ષમા કરો ! હું કૃતઘ્ન થઈ ને આપનો મહાન્ અપરાધ કર્યો ! દુઃખે મ્હારી બુદ્ધિને ડ્‌હોળી નાંખી ને આપે હવે તેને નિર્મળ કરી, આપ બોલો તે સાંભળવાને આ ક્ષુદ્ર બુદ્ધિથી જે બનશે તે ક્‌હેવા સજ્જ છું. હું સત્ય કહું છું કે – કુમુદ, કુસુમ, ને સંસાર એ સર્વને તુચ્છ ગણી હું આપનામાં જ ચિત્ત પરોવીશ. આપને શાને પ્રધાનપદ છોડવા કાળ આવે છે ?” માથું ઉંચું કરી ગુણસુંદરી સામી બેઠી.

વિધા૦- “તું સજ્જ છે તો મ્હારા હૃદયના સર્વ પડદા દૂર કરી વાત કહું છું તે સાંભળી લે. કુમુદનો અપવાદ અસત્ય હશે તો તો કાંઈ દુઃખ છે જ નહી – મ્હારી શ્રદ્ધા છે કે તું, સુન્દર, અને ચન્દ્રકાંત મળી સરસ્વતીચંદ્રને પલાળી શકશો ને કુસુમનું ભાગ્ય ઉઘડશે. ફ્‌લોરા અને કમલારાણીજી પાસે આશ્રય શોધીશું. તે નહી ફાવે તો કુમુદની ઇચ્છાથી અવળી ચાલે એટલું કુસુમના હૃદયનું ગજું નથી. પણ લોકનો અપવાદ ખરો હોય તો મ્હેં ઘણાં સૂક્ષ્મ વિચાર કરી મારા ધર્મને માર્ગે