પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૪


સર૦– “ના જી. રાત્રે માત્ર કુમુદબ્હેન વિદ્યમાન છે ને સરસ્વતીચંદ્રની છાયામાં છે એટલા જ સમાચાર હતા. આજની ટપાલમાં અને આજ આવેલાં આપણાં માણસોથી ઘણી વીગત એકઠી થઈ હાથ લાગી છે. બુદ્ધિધનભાઈના ઘરમાં જે નવીનચંદ્ર હતા તે જ આજ સુન્દરગિરિ ઉપર છે. છસાતદિવસ ઉપર વિહારપુરી જોડે એ સુરગ્રામ ગયા હતા અને ત્યાંના મ્હેતાજીને પોતાનું નામ નવીનચંદ્ર કહ્યું અને બુદ્ધિધનભાઈના ઘરમાં પોતે હતા તે પોતે જ મ્હેતાજીને કહ્યું. વર્તમાનપત્રોમાં શોધાતા સરસ્વતીચંદ્ર તે પોતે જ કે નહી એવા મ્હેતાજીનો પ્રશ્ન તેમણે ઉડાવ્યો. તેઓ ઈંગ્રેજી અને સંસ્કૃતમાં વિદ્વાન છે ને વિષ્ણુદાસજીએ પોતાની પાછળ તેમને યદુશૃંગના મહન્ત કરવા ધાર્યા છે ને તેને માટે સિદ્ધ કરવા ચિરંજીવશૃંગ ઉપર સાધુઓ જોડે મોકલ્યા છે.

“બુદ્ધિધનભાઈના ઘરમાં તેઓ કેવી રીતે રહ્યા તેની હકીકત સુવર્ણપુર ગયલા આપણા દૂતે મોકલી છે તે આ પત્રમાંથી જડશે. કુમુદબ્હેન અને તેમની બાબતમાં સુવર્ણપુરમાં લોકાપવાદ પ્રમાદધનભાઈએ અને કૃષ્ણકલિકાએ જ ચલાવ્યો હતો તે ત્યાં કોઈ માનતું નથી, અને બુદ્ધિધનભાઈ પોતાના દ્રવ્યની વ્યવસ્થા એવી રીતે કરવાના છે કે તેમાંથી એક અંશ એમના બાળક પુત્રને માટે ર્‌હે, એક અંશની ઉપજ સુવર્ણપુરમાં સંન્યાસીઓના અન્નસત્રમાં જાય અને તેમાંથી પોતાની ભિક્ષા તથા પારિવ્રિજયાના ખરચનો નિર્વાહ થાય, બાકીને એક અંશ અલકકિશેારીને મળે, અને બાકીનો એક અંશ પ્રમાદધનભાઈ જીવતા નીકળે તો તેમને મળે ને ન નીકળે તો તેમને અંશ અને બાકીનો એક બીજો અંશ કુમુદબ્હેન જીવતાં નીકળે તો તે તેમને મળે. કુમુદબ્હેન જીવતાં ન નીકળે તો એમના અને પ્રમાદભાઈના અંશની વ્યવસ્થા કંઈ ધર્મમાર્ગે કરવાની આપને સોંપવાની છે. તેમને સંન્યાસ લેવામાં માત્ર મહારાણા ભૂપસિંહે તેમને દીધેલા સોગન નડે છે.

“કુમુદબ્હેનના રથમાંથી એક પોટકું ગુણસુંદરીબાની પાસે આવેલું છે તે મ્હારે જાતે જોવું બાકી છે, તેમાં તેમની પોતાની લખેલી કવિતાઓ ક્‌હેવાય છે પણ કોઈનું નામ તેમાં નથી. સુભદ્રાના મુખ આગળ માતાના બેટ આગળથી તેમનું, કે બીજી કોઈ એમના જ વયની અબળાનું, શરીર ચંદ્રાવલીને હાથ આવ્યું જણાય છે ને એ સાધ્વીએ તેનું નામ મધુરી પાડ્યું છે. મધુરી સુંદરગિરિ ઉપર ત્રણ ચાર દિવસથી પરિવ્રાજિકામઠમાં છે, તેમના શરીર ઉપર માતાની ચુંદડી છે પણ આપના જેવાની પુત્રીને યોગ્ય