પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૫

અલંકાર પણ તેમણે અંગે રાખેલા છે. હાલમાં ચિરંજીવશૃંગ ઉપર વસન્તગુફામાં તેમને લેઈ કેટલીક સાધ્વીઓ ર્‌હેવા ગઈ છે ને સાધુઓ સાથે તેની જોડની સૌમનસ્યગુફામાં નવીનચંદ્ર છે.

“મધુરીનો વિવાહ નવીનચંદ્ર સાથે થયલો હતો અને તેમના લગ્ન પ્હેલાં નવીનચંદ્ર ગૃહ છોડી નીકળી ગયલા હતા, અને તે પછી મધુરીનું લગ્ન બીજા પુરુષ સાથે થયું, પુરુષે મધુરીને બહુ દુઃખ દીધું ને મધુરીએ સુભદ્રામાં જળશયન કર્યું અને સંસાર ઉપર કંટાળી બીજી વાર બેટની માતાની પેલી પાસે સમુદ્રમાં પણ શરીરનો ભોગ આપવા પ્રયત્ન કરતાં સાધુસ્ત્રીએાએ તેમને બચાવ્યાં. હવે માતાપિતાને ઘેર જઈ તેમનાં અને સ્વામીની પાસે જઈ તેનાં દુ:ખનું સાધન ન થવું એવા વિચારથી અને નવીનચંદ્રનું દુઃખ જોઈ ન શકાયાથી આમ કર્યું ક્‌હેવાય છે. સાધુજનોએ આ દુ:ખમાંથી તેમને ઉદ્ધારવાને માટે પોતાને અશકત સમજી છેલી પળે તેમને બોધ અને આશ્વાસન આપવા માટે નવીનચંદ્રનો સમાગમ કરાવેલ છે. તેમની પાસેથી પોતાના સ્વામીના મૃત્યુના સમાચાર એમણે ગઈ કાલ જાણ્યા અને તે પછી સાધ્વીનો ભેખ ધર્યો છે. પરિવ્રાજિકામઠમાં કે ચંદ્રાવલી પાસે રહી સત્સમાગમમાં અને પરમાત્માના ચિન્તનમાં બાકીનું આયુષ્ય ગાળવું એવો તેમનો વિચાર સાધ્વીઓમાં સંભળાય છે.

“તેમના સ્વામીના મૃત્યુના સમાચાર નવીનચંદ્રે તેમને કહ્યા. સુરગ્રામનાં વર્તમાનપત્રોમાં પ્રમોદભાઈના સમાચાર નવીનચંદ્રે વાંચેલા જ હોવા જોઈએ. આ અને બીજી બધી વાતો ઉપરથી પણ સ્પષ્ટ છે કે નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર અને મધુરી તે કુમુદબ્હેન જ. હવે આજ ચંદ્રકાંતભાઈ કોને મળે છે ને શા સમાચાર ક્‌હાવે છે તેટલી, સોળે આના નિશ્ચય થવાને, વાર છે.

“મ્હેતાજી અને શંકાપુરી નામના સાધુથી તેમ બીજાઓથી આ સમાચાર મળેલા છે. શંકાપુરી યદુશૃંગઉપર ગયેલો કોઈ નવો સાધુ છે તે તો આ બેની ગમે તેવી વાતો કરે છે, પણ તે જાતે જ શુદ્ધ નથી અને હાલ વિષ્ણુદાસજી યોગસ્થ છે તે તેમાંથી જાગશે એટલે આ સાધુનો મઠમાંથી બહિષ્કાર કરશે એવું સર્વ સાધુઓ બોલે છે. એણે મધુરી ઉપર કુદૃષ્ટિ કરી ક્‌હેવાય છે ને સાધ્વીઓએ મધુરીનું રક્ષણ કરેલું છે. આવા દુષ્ટ મનુષ્યની કરેલી વાતોમાં વિશ્વાસ રજ કરવા જેવો નથી અને આપણાં મનુષ્યોને એવી શંકા છે કે એ વેશધારી સાધુ હીરાલાલનો કોઈ બાતમીદાર છે. તે સઉ જોવાશે, પણ એટલું સત્ય છે કે સર્વ સાધુજનો અને