પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૬

સાધ્વીજનો નવીનચંદ્રને પૂજ્ય ગણે છે ને મધુરીને દુ:ખી પણ અતિ પવિત્ર માને છે. તેમના આવા વિષયમાં નિર્ણય ક્વચિત જ ભુલ ભરેલા હોય છે અને કુતરાએ શીકારને શોધી ક્‌હાડે તેવી જ ત્વરાથી વિષ્ણુદાસજીના સાધુજનો અપવિત્ર માણસને સુંઘી ક્‌હાડે છે.

“પ્રધાનજી, આપ જેવાનાં નેત્રમાં દીનતા આજ જ દેખું છું!”

વિદ્યા૦– "સરદાર! પુત્રી જીવતી છે એટલું જ નહી પણ આવા સાધુજનો પણ તેની પવિત્રતાને અભિનન્દે છે એ જાણી ઈશ્વરનો ઉપકાર મ્હારા હૃદયમાં ઉભરાય છે ને આ દીનતાને આણે છે. બીજી પાસથી આવી પુત્રીને મ્હારા ઘરમાં સુખની આશા નથી ને સાધુનો ભેખ અને ભિક્ષાનું અન્ન તે પ્રિય ગણે છે અને તેમ કરવાને તેને વારો આવે છે તે માત્ર આપણા લોકના સંસારની વ્યવસ્થાને લીધે જ છે એ પ્રત્યક્ષ કરું છું ત્યારે કુમુદના અને આપણા દેશના વિચાર મ્હારા હૃદયને દીન કરી મુકે છે. એ પુત્રીનું સુખ મ્હારા હાથમાં છે, છતાં હું તેને તે આપી શકતો નથી તે માત્ર આપણા સંસારની માનુષી વ્યવસ્થાને લીધે ! – એ અશક્તિ ઈશ્વરે નથી આપી. ઈશ્વરની કળાને લીધે મનુષ્યને માથે અનેક અનિવાર્ય દુઃખનાં વાદળ ફરે છે તેમાં આપણા લોકે હાથે કરીને આ વ્યવસ્થાને ધુમાડાની પેઠે ફેલાવી છે.

સર૦– વડીલની સુચના આ૫ સ્વીકારશો તો દંહી અને દુધ બેમાં પગ ર્‌હેશે.

વિદ્યા૦– એવા ચોરિકાવિવાહનું, મ્હારી - કુમુદ કે સરસ્વતીચંદ્ર બેમાંથી કોઈ અભિનન્દન નહી કરે, તેમનાં હૃદય એટલાથી તૃપ્ત થાય એમ હત તો સરસ્વતીચંદ્ર અને કુમુદને ભગવી કન્થાઓ અને ભિક્ષાનાં અન્ન પ્રિય લાગત નહીં, એવી ચોરી કરતાં તેમને આ સ્થિતિ વધારે પવિત્ર અને ઉત્કૃષ્ટ લાગી ન હત તો એમને હું પામર ગણત અને તેમને માટે શોક ન કરત ને વડીલનું વચન પાળવું જ ઉત્તમ ગણત.

સર૦– વડીલનું વચન હૃદયનું છે, કુમુદબ્હેન ઉપરની તેમની પ્રીતિનું છે, અને મર્મનું નથી એવું હું માનું છું.

વિદ્યા૦- હું પણ એમ જ માનું છું. એમની પ્રીતિ બાળકને સુખી જેવાને ઈચ્છે છે ને લોકના વ્યવહારશાસ્ત્રને જાળવી તેને જ તોડવાનો માર્ગ શોધે છે. મ્હારામાં એ જાળવવાની વૃત્તિ નથી, તોડવાની શક્તિ છે, અને સંતાનનાં સુખ લોકમાં અનિન્દિત ગણાય એવું જોવા ઇચ્છું છું. આ ઇચ્છા વ્યર્થ છે ને તે સફળ થાવ કે નિષ્ફળ થાવ તેની પરવા