પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૬


“મને આપીને શું કરશો ને તેમ આપવાનો તમને શો અધિકાર ?” સામી ખુરશી ઉપર બેસતી બેસતી કુસુમ બોલી.

કુમુદ૦– મ્હેં ઘણો વિચાર કરીને અને ઘણા અધિકારથી તને એ લેખ આપ્યા છે તે રાખ.

કુમુદ૦– તે ક્‌હેશો તો ખરાં કની?

કુમુદ૦– તે ક્‌હેવાનું છે જ. હું એમની જોડે જઈ એમના હૃદયના અલખ ભાગને જોઈ આવી, અને હવે એમના લેખમાં એ અલખ જગવવાનો અધિકાર મને નથી તે તને સમજાવ્યું. સંસારનું પરમ કલ્યાણ કરવાનો એમનો પરમ અભિલાષ મ્હારાથી સિદ્ધ કરાવાય એમ નથી તેના સાક્ષી ચન્દ્રકાંતભાઈ, ને ત્હારાથી કરાવાય એમ છે તેના સાક્ષી પણ એ જ!

“ઓત્ તમારું ભલું થાય ! ધીમી ધીમી લાંબી લાંબી વાતો કરીને ભોળાં બ્હેને અંહી વ્હાણ આણ્યું કે ?” આંખો ચગાવી ઉચું જોતી, મ્હોં પ્હોળું કરી, બોલતી બોલતી કુસુમ ઉભી થઈ અને અંતે વિચાર કરતી કરતી બોલતી હોય તેમ હાથ લાંબો કરી ધીરે પણ દૃઢ સ્વરે બોલી ઉઠી; “એ તો તમારો મર્મ સમજી, પણ કુમુદબ્હેન, એમાં તો તમારું કાંઈ વળે નહી ! હં – બોલો હવે.”

કુમુદ૦ – જો, આ કાગળમાં એક સાધુજને કવિતા લખી આપી છે તે ગા જોઈયે –

કુસુમ તે લેઈ ગાવા લાગી.

“મોરલી અધર ચ્હડી રે
“મોરલી અધર ધરી રે
“સો મોરલી અધર ચ્હડી રે !
“સો મોરલી અધર ધરી રે !”

“વારું, ઠીક આ બધું લાંબું લાંબું હું કંઈ નથી ગાતી – એ મને આપીને શું ક્‌હેવાનું કરો છો ? ”

કુમુદ૦– અલખ હૃદયનું ગાન શ્રીકૃષ્ણજીવનના ઓઠ ઉપર મોરલીમાં ચ્હડે ત્યારે જ સંસાર એ ગાનને લખ કરે. કુસુમ ! જેના હૃદયમાં આવું આવું અલખ ગાન ભરેલું મ્હેં આ લેખમાં જોયું તેને લખ કરાવનારી મોરલી મ્હારાથી થવાતું નથી તે વિચારી મ્હારું હૃદય ફાટી જાય છે.

કુસુમ૦– એટલી વાત તો હું માનું છું. તમે જે આટલો સંસાર જોયો ન હત તે તમે આ દુ:ખમાં ન પડત. निःस्नेहो याति निर्वाणं स्नेहोऽनर्थस्य