પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
સરદાર વલ્લભભાઈ


પડેલી અને કેટલાક એથી પણ વધારે કફોડી સ્થિતિની આગાહી કરતા હતા. આવા સંજોગોમાં સભાએ આપેલી ખબર બહુ વિચારપૂર્વકની અને વાજબી છે. તે ખબરમાં ગુજરતા જુલમનો ભાસ આવવા દીધો નથી.

“વસુલાતના કામમાં જે જે ગામોમાં જુલમ ગુજારવામાં આવે છે તેની સરકારને તાકીદે ખબર આપતા રહેશો.

“કમિશનરને બીજું પણ લખી દેજો કે સભાને વિષે તમારે સરકારમાં લખવું હોય તે બેલાશક લખી દેવું.

“જે ગૃહસ્થોની કમિશનરે મુલાકાત ન લીધી તેમના તેથી થયેલા અપમાન સામે વિરોધ દર્શાવવા એક સખત પણ સભ્યતાપૂર્વક કાગળ લખશો. જમીનમહેસૂલ મુલતવી રહે અને હાલ વસૂલાતનું કામ બંધ થાય તે માટે જબરી ચળવળ ઉપાડવી. કમિશનરે કરેલા અપમાન અને આપેલી ધમકીનો એ જ ઉપાય હોઈ શકે. આવા કટોકટીના પ્રસંગે હું ત્યાં નથી તે માટે દિલગીર છું. — ગાંધી

કાગળમાં ગાંધીજીએ લખ્યું:

“કમિશનરે પોતાનું પોત પ્રકાશ્યું છે. ભૂલ કાઢવાના હેતુથી નથી લખતો પણ ભવિષ્યની સૂચના તરીકે લખું છું કે જ્યારે તેમણે આખા ડેપ્યુટેશનને મળવાની ના લખી ત્યારે મંત્રીઓ પણ માનમાં રહી ન ગયા હોત તો વિશેષ સારું થાત. . . . તમારામાં શક્તિ હોય તો તમે નીડરપણે રૈયતને પડખે ઊભી વિઘોટી નહીં ભરવાની સલાહ આપજો. તેમ કરતાં તમે પકડાઈ જાઓ તો તમારું કાર્ય પૂરું થયું કહેવાય. . . . આ સત્યાગ્રહ છે. તેમાંથી જ સ્વરાજ્ય મળવાનું એ નિશ્ચય છે. અત્યારે જ એ ન મળે એ સંભવિત છે. સત્યાગ્રહનો મહિમા પોતાની શક્તિ પ્રમાણે પ્રસંગ આવ્યે બતાવવો એ પરમ ધર્મ છે.”

ખેડા જિલ્લાના કાર્યકર્તાઓને લખ્યું:

“તમારા કાગળોમાંથી હું ખૂબ રસ લઈ રહ્યો છું. પણ આ સમયે હું ત્યાં નથી તેથી અકળાયા કરું છું. આપણે ભયરહિત થઈ આપણું કર્તવ્ય કરીએ તો પ્રજાને અદ્‌ભુત પદાર્થપાઠ મળે. અમલદાર વર્ગ ચિડાય એ તદ્દન સમજી શકાય એવું છે. પ્રજા ઊંઘમાંથી ઊઠે તે એ લોકોને કેમ ગમે? તમે બધા હિંમત નહીં તજો એવી ઉમેદ રાખું છું. આ સમયે જો આપણે કર્તવ્યપરાયણતા પૂરેપૂરી બતાવીએ તો સ્વરાજ્યની શુદ્ધ હિમાયત થઈ શકે.”

બીજા એક કાગળમાં લખ્યું:

“ . . . જે લોકો મહેસૂલ આપવાને અશક્ત છે, તેઓની અશક્તિ સરકાર કબૂલ કરે કે ન કરે, છતાં તે અશક્તિ તો રહેવાની જ. પછી શેને સારુ તેઓ મહેસૂલ આપે? લોકોને એટલું સમજવાનું રહ્યું છે. ભલે એક જ માણસ મક્કમ રહે. તે તો જીત્યો ગણાશે. તેમાંથી બીજો પાક પેદા થઈ શકશે. . . ."