પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
સરદાર વલ્લભભાઈ


બીજી તરફથી ના. પારેખ-પટેલ મુંબઈ સક્રેટેરિયેટમાં પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ રેવન્યુ મેમ્બર મિ. કાર્માઈકલને મળ્યા અને તેને પાક સંબંધી સ્વતંત્ર તપાસ કરવા વિનંતી કરી. પણ તેણે કરડાકીથી જવાબ આપ્યો : “ત્યાં કલેક્ટર મિ. નામજોશી એક હિંદી છે. અને તમારા મારા કરતાં આ વિષયની વધુ માહિતી ધરાવે છે. એ પોતે આ સંબંધમાં જવાબદાર હોવાથી સરકાર તેમાં વચ્ચે નહીં પડે.” ના. પારેખ-પટેલે જણાવ્યું કે આવતી ધારાસભાની બેઠકમાં આ સવાલ અમે ચર્ચા માટે રજૂ કરીએ ત્યાં સુધી કલેક્ટરના હુકમનો અમલ મહેરબાની કરી મુલતવી રાખવામાં આવે. તેનો રેવન્યુ મેમ્બર સાહેબે જવાબ આપ્યો કેઃ “હું તેવું કશું જ કરવા માગતો નથી.”

અહીં ખેડાના કલેક્ટરે તા. ૧૪-૧-’૧૮ના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યો. તેમાં ગુજરાત સભાની તા. ૧૦-૧-’૧૮ની જાહેરખબરનો ઉલ્લેખ કરી જણાવવામાં આવ્યું કે:

“આ સંબંધમાં ખાતેદારોને ચેતવણી આપવામાં આવે છે કે જમીનમહેસૂલ વસૂલ કરવા અથવા મુલતવી રાખવાનો અધિકાર જિલ્લા કલેક્ટરને છે. તે અધિકારની રૂએ અમે જિલ્લાના પાકની બારીક તપાસ ચલાવી છેવટના હુકમો કાઢ્યા છે. જિલ્લાનાં કેટલાંક ગામોમાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મહેસૂલનો અમુક ભાગ મુલતવી રાખવા અમે હુકમ કાઢી દીધા છે. સબબ તે હુકમોને અનુસરી જમીનમહેસૂલ અને તગાવી ભરવા હુકમ થયો છે તે મુજબ ખેડૂતોએ ભરી દેવું જોઈએ. છતાં જાણીબૂઝીને લોકોની બદસલાહ પ્રમાણે મહેસૂલ ભરવામાં જે કોઈ દાંડાઈ કરશે તેના ઉપર નિરુપાયે કાયદેસર સખત પગલાં ભરવાની જરૂર પડશે.”

આ ઉપરાંત કલેક્ટર અને કમિશનરના હાથ મજબૂત કરવા મુંબઈ સરકારે તા. ૧૬-૧-’૧૮ના રોજ એક યાદી બહાર પાડી. તેમાં કલેક્ટરે કાળજીપૂર્વક તપાસ અને ચોકસી કર્યા પછી લાયક માણસોને યોગ્ય રાહત આપી છે વગેરે જણાવીને ગુજરાત સભા વિષે લખ્યું કે:

“તેનું મથક અમદાવાદ છે. તેના ઘણાખરા સભ્યો ખેડા જિલ્લામાં નહીં, પણ અમદાવાદમાં જ રહે છે. તેણે ખેડા જિલ્લાની પ્રજાને મહેસૂલ ભરવાનું મુલતવી રાખવાની તા. ૧૦-૧-’૧૮ના રોજ સલાહ આપી તે પહેલાં મુંબઈ સરકારને એક અરજી કરેલી, પણ કલેક્ટર જેને આ બાબતની સંપૂર્ણ સત્તા છે તેને કે કમિશનરને અરજી કરેલી નહીં, અથવા તેમની મુલાકાત માગેલી નહીં. વળી તેણે જાહેરખબર ખેડૂતોમાં વહેંચી તે પહેલાં કલેક્ટરના છેવટના હુકમ બહાર પડી ચૂક્યા હતા. એટલે કલેક્ટરના હુકમનો અનાદર કરવાની અથવા આદર કરવાનું મુલતવી રાખવાની ખેડૂતોને સલાહ આપવાના તેના પગલાને સરકાર અવિચારી અને તોફાની લેખ્યા વિના રહી શકતી નથી. . . . આ ધનવાન અને આબાદ જિલ્લામાં જમીન મહેસૂલ ઉઘરાવવાના