પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


૧૦

ખેડા સત્યાગ્રહ – ૨

લડત

તા. ૨૨મી માર્ચે સાંજે છ વાગ્યે ખેડા જિલ્લાના તમામ ખેડૂતોની એક મોટી સભા નડિયાદમાં થઈ તેમાં સત્યાગ્રહની લડતનું મંગલાચરણ કરતાં ગાંધીજીએ એક પ્રેરક અને ભવ્ય ભાષણ કર્યું. અહીં તેમાંથી થોડાક ફકરા આપ્યા છે:

“આ જિલ્લો ઘણો સુંદર છે. લોકો પાસે દોલત છે. જિલ્લામાં લીલોતરી અને સુંદર વૃક્ષો છે. બિહાર સિવાય આવાં સુંદર વૃક્ષ મેં બીજે જોયા નથી. બિહારને કુદરતે સુંદરતા આપી છે. પણ આ જિલ્લાએ તો ખેડૂતોની જાતમહેનત અને ખંતથી સુંદરતા મેળવી છે. આ જિલ્લાના ખેડૂતો બહુ હોશિયાર અને ઉદ્યોગી છે. તેમણે પોતાના પ્રદેશમાં સુંદર ઉપવન સર્જ્યું છે. તે માટે અભિમાન લેવા જેવું છે. આમ હોવા છતાં એમ નથી ઠરતું કે પાક ન થયો હોય છતાં લોકોએ મહેસૂલ ભરવું જોઈએ. સરકારની આકરી મહેસૂલનીતિથી આવા ઉદ્યોગી લોકો ઘસાતા જાય છે અને ઘણાને ખેતી છોડી મજૂરી કરવાનો દહાડો આવ્યો છે.
“ખરી રીતે તો પાક થાય તેમાંથી વિઘોટી ભરવાની છે. પાક ન થયો હોય છતાં સરકાર દબાણ કરી વિઘોટી લે એ અસહ્ય છે. પણ આ દેશમાં તો નિયમ થઈ ગયો છે કે સરકારનો કક્કો જ ખરો થવો જોઈએ. લોકો ગમે તેટલા સાચા હોય છતાં તેમની વાત ન માની સરકારને પેાતાનું જ ધાર્યું કરવું છે. પણ ખરો તો ન્યાયનો કક્કો રહે. તેની આગળ અન્યાયનો કક્કો ફેરવવો પડે. . . . મહેસૂલ મુલતવી રખાવી એક વર્ષના વ્યાજના બચાવ માટે હજારો લોકો જૂઠું બોલે એ માનવા જેવું નથી સરકાર એમ કહે એ આપણું અપમાન છે. માટે મારી સલાહ છે કે આપણી માગણી સરકાર કબૂલ ન કરે તો આપણે સરકારને કહેવું જોઈએ કે અમે મહેસૂલ ભરવાના નથી, તે માટે અમારે જે સહન કરવું પડશે તે ભોગવી લેવા તૈયાર છીએ.
“શું દુ:ખ આવવાનું છે તેનો આપણે ખ્યાલ કરી લેવો જોઈએ. સરકાર આપણાં ઢોરઢાંખર અને સરસામાન વેચીને વિઘોટી વસૂલ કરે, ચોથાઈ દંડ લે, સનંદિયા જમીન ખાલસા કરે અને લોકો દાંડાઈ કરે છે એમ કહી કેદમાં નાખે. દાંડાઈ શબ્દ સરકારનો છે. એ મને બહુ અળખામણો લાગે છે. જે સાચું કહે તેને દાંડ કેમ કહેવાય? એ દાંડ નથી પણ બહાદુર છે. સારી સ્થિતિવાળા પાસે પૈસા છતાં પોતાના ખેતરમાં ન પાક્યું હોય

૯૯