પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
સરદાર વલ્લભભાઈ


“મહાત્મા ગાંધીજીએ તા. ૨૨મી માર્ચના રોજ ખેડા જિલ્લાના ખેડૂતોની એક મોટી સભા ભરી બધાને ખુલ્લી રીતે સલાહ આપી છે કે પોતાનું સ્વમાન જાળવવાની ખાતર, તેમ રૈયત જૂઠું નથી બોલતી તે સાબિત કરવાની ખાતર લોકોએ પાતાની ખુશીથી પૈસા ભરવા નહીં એ જરૂરનું છે. એ સલાહ વાજબી છે એમ હું માનું છું. લોકોને એવી સલાહ આપવી એ મારી ફરજ છે એમ હું સમજું છું. તેથી એ પ્રમાણે લોકોને સલાહ આપું છું. તેમાં કાયદાનો કે નીતિનો ભંગ થતો હોય એમ સમજી શકાતું નથી. છતાં કાયદાનો ભંગ થતો હોય તો તેની શિક્ષા ભોગવવા ખુશી છું. માટે આપને યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવવા કૃપા કરશો. મારે આપને જણાવવું જોઈએ કે જે કલમને આધારે આપે સમન્સ કાઢ્યો છે તે કલમ આ કામને બિલકુલ લાગુ પડતી નથી. પણ તે આપ ન જાણતા હો એમ મારાથી કેમ માની શકાય? છતાં આપે મને આમંત્રણ આપ્યું તે માટે આપનો આભારી છું અને હવે વિશેષ આભારી કરશો એ આપના અધિકારની વાત છે.”

મામલતદાર તો સરદારને ભૂલાભાઈ તરફથી ઊભા રહેલા જોઈને અને આ જવાબ વાંચીને ઠંડા જ થઈ ગયા અને તરત જ કહ્યું કે: “આમાં ગુનો થતો નથી માટે તમને રજા છે.”

એટલે સરદારે ભૂલાભાઈ પાસે પુછાવ્યું કે: “જમીનમહેસૂલ ન ભરશો એવું કહેવામાં હવે તમને ગુનો નથી લાગતો ને?”

મામલતદાર: “હા ભાઈ હા. તમને ગમે તે કહેજો.”

આમ કહ્યા છતાં સરદાર અને ભૂલાભાઈના ગયા પછી મામલતદારે જવાબની તળે નીચે પ્રમાણે શેરો કર્યો, તે પાછળથી જાણવામાં આવ્યું:

“શા. ભૂલા રૂપજી બેરિસ્ટર મિ. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ સાથે હાજર થયા છે અને પોતાની લેખી હકીકત રજૂ કરી છે. તે વાંચતાં તે હોમરૂલ લીગનો મેમ્બર જણાય છે. તેને વસૂલાતના કામમાં આડે નહીં આવવા સમજૂત કરી, જવા રજા આપી, સબબ દફતરે.”

પછી આ લડત પોતાને શા કારણે અને કેવા સંજોગોમાં શરૂ કરવી પડી છે અને સરકાર સાથે મતભેદના મુદ્દા કયા છે એ બધાનો ખેડા જિલ્લા બહારના લોકોને સ્પષ્ટ ખ્યાલ આપવા માટે ગાંધીજીએ છાપાં જોગું એક વિસ્તૃત નિવેદન પ્રગટ કર્યું. તેમાં છેવટના ભાગમાં જણાવ્યું કે:

“મહેસૂલી કાયદો અધિકારીઓને અમર્યાદિત સત્તા આપે છે. મહેસૂલી ખાતાના અધિકારીઓના નિર્ણય સામે દાદ માગવાનો પણ પ્રજાને હક નથી. આ સંજોગોમાં પ્રજા સિદ્ધાંતની ખાતર અને અધિકારીઓ પોતાની પ્રતિષ્ઠા ખાતર લડે છે. . . .