પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
સરદાર વલ્લભભાઈ


“ગામની અત્યારની સ્થિતિ જોઈને મારા નાનપણના દિવસો મને યાદ આવે છે. તે વખતે અહીંના ઘરડેરાઓનો એટલો માનમરતબો હતો કે અમલદારો તેમની સામે આવીને બેસતા અને પાછળ પાછળ ચાલતા. આજે તમારામાં બીક પેસી ગયેલી જોઈ ને મારું હૃદય કંપે છે. પણ આપણામાં કુસંપ પેઠો છે. આ પ્રસંગે કુસંપ નહીં કાઢીએ તો ક્યારે કાઢીશું ? પ્રભુ તમારી ટેક રાખે.”

કમિશનર મિ. પ્રૅટને વિચાર આવ્યો કે ખેડૂતોની કાયદામાં શી સ્થિતિ છે અને સરકાર કેટલી રહેમદિલ છે એ લોકોને હું રૂબરૂ સમજાવું તો તેઓ અવળે રસ્તે ચઢી ગયા છે ત્યાંથી તેમને પાછા વાળી શકું. પણ તેઓ કે જિલ્લાના અધિકારીઓ સભા બોલાવે તો તેમાં આવે કોણ ? સરકારના આટઆટલા જુલમ અને નીચલા અમલદારોની પાર વિનાની અવળચંડાઈઓ છતાં ગાંધીજી તો પોતાનું કામ બિલકુલ દ્વેષ વિના અને અતિશય સદ્‌ભાવપૂર્વક કરતા હતા, અને આ લડતને અંગે મિ. પ્રૅટને ઘણી વાર તેમને મળવાનું થયું હતું એટલે મિ. પ્રૅટ એ વસ્તુ સમજી ગયા હતા. પોતાની મીટિંગ માટે જિલ્લાના લોકોને ભેગા કરી આપવાની તેમણે ગાંધીજી પાસે માગણી કરી અને ગાંધીજીએ પત્રિકા કાઢી આખા જિલ્લાના લોકોને કમિશનરની મીટિંગમાં હાજર રહેવા સલાહ આપી.

તા. ૧રમી એપ્રિલના રોજ નડિયાદ મુકામે મામલતદારની કચેરીના મેદાનમાં સાંજના ત્રણ વાગ્યે જિલ્લાના મુખ્ય મુખ્ય એવા લગભગ બે હજાર ખેડૂતોની સભા થઈ. તેમાં જિલ્લા કલેક્ટર તથા બધા તાલુકાના મામલતદારો તથા બીજા સરકારી નોકરો હાજર થયા. ગાંધીજી પોતે તો સભામાં ન ગયા પણ સરદાર અને બીજા કાર્યકર્તાઓને મોકલ્યા. કમિશનરે પોતાની કાલી કાલી ગુજરાતી ભાષામાં બહુ લાંબું ભાષણ કર્યું. અહીં તેનો મહત્વનો ભાગ આપ્યો છે :

“મારી વાત સાંભળીને ધ્યાનમાં લઈ ઘેર જશો ત્યારે ગામમાં મહેરબાની કરી પ્રસિદ્ધ કરશો કે જેથી આખા જિલ્લામાં માહિતી ફેલાય. કારણ એ છે કે હું હમણાં બોલું છું તે કાંઈ તમારે માટે જ નહીં પણ આખા જિલ્લાને માટે છે.
“તમોને મહે. ગાંધી સાહેબે — શ્રીયુત મહાત્મા ગાંધીજીએ અને મહે. વલ્લભભાઈ સાહેબે તથા તેમની સાથે જે ગૃહસ્થો કામ કરે છે તેમણે બહુ સલાહ આપેલી છે, ગામેગામ ફરીને ભાષણો કરેલાં છે. આજે મહેરબાની કરી અમારું ભાષણ સાંભળો.
“ખેડૂત લોકોના હક એવા છે કે જમીન તમારા કબજા ભોગવટામાં વંશપરંપરા રાખી શકો. તેની સાથે તમારી ફરજ છે કે કાયદા પ્રમાણે જે આકાર બાંધેલો છે તે તમારે ભરવો. તે ફરજ પાળવાની શરત ઉપર તમારી